Tuesday, 22 July 2014

વિકલ્પો માણસના સ્વાતંત્ર્યને વિસ્તારે છે....... ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

સ્વૈચ્છિક મૃત્યુની વિરુદ્ધમાં થતી દલીલો તપાસવા જેવી છે. વિરોધીઓનું કહેવું છે કે મૃત્યુની સમીપ પહોંચી ગયેલી વ્યક્તિઓની, દાકતરોએ તથા સગાંસંબંધીઓએ, દર્દીના છેલ્લા શ્ર્વાસ સુધી એની સેવા ચાકરી કરવી જોઈએ. ઑક્સિજન માસ્ક કે રેસ્પાયરેટર વડે કૃત્રિમ શ્ર્વાસોચ્છ્વાસ આપીને કે મોઘાં લાઈફ સેવિંગ ઈન્જેક્શન્સ ઠોકીને દર્દીની આવરદા વધતી હોય તો કશું ખોટું નથી એવું વિરોધીઓનું કહેવું છે. સામે પક્ષે, સ્વૈચ્છિક મૃત્યુના વિરોધીઓનો વિરોધ કરનારાઓ કહે છે કે જે દર્દીએ જીવવાની ઈચ્છા જ છોડી દીધી હોય એના પર આવાં સાધનો કે દવા-ઇન્જેક્શનો વાપરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિને રિબાવી રિબાવીને જીવાડવામાં આવતી હોય છે.

સ્વૈચ્છિક મૃત્યુના વિરોધીઓ વૈજ્ઞાનિક શોધખોળોની વાત કરે છે: આજે અસાધ્ય લાગતા રોગની દવા આવતી કાલે શોધાઈ શકે છે એવું તેઓ કહે છે. સાચું કહે છે. હૃદયના ધબકારા ફરી ચાલુ કરવા ડિફાયબ્રિલેટરની શોધ થોડાક દાયકા પહેલાં જ થઈ. વિજ્ઞાન હજુ એવા અંતિમ તબક્કે પહોંચ્યું નથી કે દર્દીને લાગે કે આ રોગની દવા મળવી હવે શક્ય નથી એટલે મારે મૃત્યુ પામવું જોઈએ. એવા કોઈ અંતિમ તબક્કે વિજ્ઞાન ક્યારેય પહોંચવાનું પણ નથી.

પરંતુ અહીં સવાલ માત્ર વિજ્ઞાનનો નથી. જીવન અને મૃત્યુનો આધાર માત્ર વિજ્ઞાન પર ન હોઈ શકે. માણસના વિચારો, માણસની લાગણીઓ અને માણસની ઈચ્છાઓનું માણસના જીવનમાં સ્થાન ખરું કે નહીં? અસાધ્ય રોગથી પીડાતા માણસને જીવનમાંથી રસ ઊડી જાય ત્યારે એને પોતાની ઈચ્છા મુજબનું મૃત્યુ માગવાનો હક્ક ખરો કે નહીં? માણસ ચારેકોરથી હતાશ થઈ જાય, માંદગીની પરિસ્થિતિ સામે લડવાની શારીરિક-માનસિક તાકાત કે ઈચ્છા પણ ગુમાવી દે ત્યારે એને સ્વૈચ્છિક મૃત્યુ મેળવવાનો હક્ક ખરો કે નહીં? હા, હા, હા.

સ્વૈચ્છાએ મૃત્યુ પામવાનો હક્ક માગતી વિશ્ર્વની તમામ સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય પરિષદનું પ્રમુખપદ એક જમાનામાં એડમન્ડ હિલેરીએ સંભાળ્યું હતું. પ્રથમ એવરેસ્ટ આરોહણ જેવી મસમોટી સિદ્ધિ જીવનમાં હાંસલ કરનારી વ્યક્તિ પણ સ્વૈચ્છિક મૃત્યુની તરફેણ શું કામ કરતી હશે એ વાત વિચારવા જેવી છે.

માણસને વિકલ્પો જોઈએ છે કારણ કે માણસને સ્વતંત્રતા જોઈએ છે. વિકલ્પો માણસના સ્વાતંત્ર્યને વિસ્તારે છે. દરિયાકિનારે રહેવું કે પહાડીઓ પર રહેવું, ગંભીર સાહિત્યનું વાંચન કરવું કે છાપાં-મૅગેઝિનોમાં પડ્યાપાથર્યા રહેવું, કમાવા માટે જિંદગી ખર્ચી કાઢવી કે જિંદગી ખૂબસૂરત બનાવવા જેટલી કમાણી કરીને અટકી જવું, કોની સાથે સંબંધો રાખવા અને કોની સાથે નહીં, કુદરતી મૃત્યુ સુધી ભરપૂર જીવી લેવું કે પછી મૃત્યુ નથી આવતું એટલે પરાણે જીવ્યા કરવું કે પછી સંથારો લઈ લેવો.

માંદગીમાં બધી જ બાજુએથી ઘેરાઈ ચૂકેલા માણસને અન્ય કોઈ વ્યક્તિ જીવનનો અંત લાવવાની સલાહ ન આપી શકે. એની સમસ્યાઓને દૂર કરવાની કોશિશ કરે, એને સાંત્વન આપે, એની હતાશા દૂર થાય એ રીતે પ્રોત્સાહન આપે ત્યાં સુધી ઠીક છે. પણ જેણે મનોમન નિશ્ર્ચય કરી લીધો હોય કે બસ હવે બહુ થયું, એ વ્યક્તિને મરવાનો અધિકાર હોવો જોઈએ.

વાત માત્ર અસાધ્ય રોગની નથી. જેને નખમાંય રોગ ન હોય એવી વ્યક્તિને પણ જીવનમાંથી રસ ઊડી જઈ શકે છે. જે નથી કોઈ અંડરવર્લ્ડના ચક્કરમાં ફસાઈ, જે નથી કોઈ દેવામાં ડૂબી ગઈ, જે નથી કોઈ સંબંધોથી તૂટી ગઈ એવી વ્યક્તિને પણ વિચાર આવી શકે છે કે હવે મારે પૂર્ણવિરામ લાવી દેવું છે આ આયખાનું.

જરાક અમથું ખોટું લાગી જાય એટલે માથે ઘાસલેટનું ટિન રેડીને જાતને દિવાસળી ચાંપી દેવાની કે સ્લિપિંગ પિલ્સની આખી બોટલને ગળી જવાની હિમાયત અહીં નથી થતી. તમામ આપત્તિઓ, તમામ મજબૂરીઓનો સામનો માણસે કરવો જોઈએ, કારણ કે બળીને રાખ થઈ ગયેલું લાગતું અસ્તિત્ત્વ પણ, આવતી કાલે કંઈક એવું બને જેને કારણે, ચેતનવંતી પાંખો લઈને ફરી બેઠું થઈ જાય. અંગતપણે એવી દૃઢ માન્યતા છે કે કુદરતી મોત થવાનું હોય તો ભલે, આજે અબ ઘડીએ થઈ જાય પણ આપઘાત તો ક્યારેય ન થઈ શકે. પણ અહીં બધી વાત પોતાના ફાયદા માટે નથી થતી. મીનુ મસાણી જેવા વિદ્વાન પુરુષે જે જમાનામાં સ્વેચ્છાએ મૃત્યુ પામવાના હક્ક માટે સરકાર સામે લડત ચલાવી ત્યારે એનું કારણ એ નહોતું કે વૃદ્ધાવસ્થામાં એમને જીવવાનો મોહ ઓછો થઈ ગયો હતો. તેઓ અંગત સ્વાર્થ માટે નહીં, સમાજની તંદુરસ્તી માટે સ્વમાનભેર મૃત્યુ પામવાનો હક્ક માગતા હતા. મસાણીસાહેબનું મોત કુદરતી રીતે થયું.

જીવવાનો મૂડ ન હોય ત્યારે તરત જ આપઘાત કરી નાખવો જરૂરી નથી. પણ માણસ સતત એવા જ મૂડમાં રહેતો હોય, મહિનાઓ અને વર્ષો સુધી દિશાહીન બનીને ભટક્યા કરવું પડશે એવી ખાતરી થયા કરતી હોય, પોતે કોઈના માટે ઉપયોગી નથી અને કોઈ પોતાના માટે ઉપયોગી નથી એવો વિશાળ ખાલીપો હૃદયમાં ફેલાતો હોય ત્યારે એ શું કરે? જીવનને ઉપયોગી થાય એવું વાંચે, સાંભળે કે પછી સાઈકીએટ્રિસ્ટ પાસે જઈને મગજનાં રસાયણોને ઓછા વત્તાં કરી નાખનારી ટિકડીઓ લઈને આપઘાત કરવાની વૃત્તિ નાબૂદ કરી નાખે.

સ્વૈચ્છિક મૃત્યુનો હક્ક માત્ર માંદગીથી ત્રાસેલાઓને જ નહીં, તમામ બાબતોમાં જીવનથી સંતુષ્ટ થઈ ચૂકેલી વ્યક્તિને પણ મળવો જોઈએ. આત્મહત્યા ગેરકાનૂની છે પણ આમરણ ઉપવાસો થતા રહે છે. સંથારાને પણ અવૈધ ગણવામાં આવ્યો નથી. માણસને પૂરેપૂરો સંતોષ થઈ જાય કે જેટલું જીવવું હતું એટલું જીવી લીધું છે ત્યારે એ સંતોષનો ઓડકાર ખાઈને ભાણા પરથી ઊભો થઈ જાય, દુનિયા છોડીને જતો રહે, તો તે એની અંગત પસંદગી છે.

જીવનનો હક્ક માણસનો મૂળભૂત અધિકાર છે. દરેક અધિકારમાં એ હક્કના નકારાત્મક પાસાનો પણ સમાવેશ થતો હોય છે. વાણી સ્વાતંત્ર્યના અધિકારમાં મૌન રહેવાનો હક્ક છુપાયેલો છે. લગ્ન કરવાના અધિકારમાં અપરિણીત રહેવાના હક્કનો પણ સમાવેશ થઈ જાય છે. માણસને જીવવાનો મૂળભૂત અધિકાર હોય ત્યારે એને મૃત્યુ પામવાનો અધિકાર પણ મળવો જોઈએ.

જેને ભરપુર જીવવું છે એને તમે જીવવા ન દો એ જો ગુનો કહેવાય તો જેને મરવું છે એને મરવા ન દઈએ તો એ પણ એટલો જ ગંભીર ગુનો છે.

No comments:

Post a Comment