Tuesday, 22 July 2014


ધુલામન્દિર – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ. નગીનદાસ પારેખ

ભજન,પૂજન,સાધના,આરાધના – આ બધું પડ્યું રહેવા દે.
તું શું કરવા બારણાં કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે ?

અંધકારમાં છુપાઈને
તું એકલો એકલો કોને પૂજી રહ્યો છે ?

આંખ ખોલીને જો તો ખરો,
ઓરડામાં દેવ તો છે નહીં !

તે તો
ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે,
મજૂરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે,
ત્યાં ગયા છે,

અને તડકામાં ને વરસાદમાં
બારેમાસ
તેમની સાથે મહેનત મજૂરી કરે છે,

તેમને બે હાથે ધૂળ લાગી છે.
તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને
તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ.

મુક્તિ?
અરે મુક્તિ ક્યાં મળવાની હતી, મુક્તિ છે જ ક્યાં?

પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે.
રહેવા દે તારું ધ્યાન અને પડી રહેવા દે તારી ફૂલની છાબને.

વસ્ત્ર ફાટે તો ભલે ફાટતાં,
ધૂળ-માટી લાગે તો ભલે લગતી.

તું તારે કર્મયોગમાં તેમની સાથે થઈ જા,
અને માથાનો પસીનો પગે ઊતરવા દે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ. નગીનદાસ પારેખ

No comments:

Post a Comment