Friday, 22 August 2014


જાત સાથેની વાત

 
 
 
 
વાતચીત કરવા વિશે કોન્ફ્યુશિયસે અદ્ભુત વાત કરી છેઃ 'વાતચીત કરવા લાયક માણસ મળે અને તમે વાતચીત ન કરો, તો તમે માણસ ગુમાવો છો. વાતચીત કરવા લાયક માણસ ન હોય અને તમે એની સાથે વાતચીત કરો તો તમે તમારા શબ્દો ગુમાવો છો. ડાહ્યો માણસ આ બેમાંથી એકે ગુમાવવાનું પસંદ નહીં કરે.' પોતાના સિવાય બીજા લોકો સાથે વાત કરતા આટલું ધ્યાન રાખવું જોઈએ, પરંતુ જ્યારે જાત સાથે વાત કરીએ ત્યારે આનાથી પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આપણે જગતની પળોજણમાં જાત સાથે ક્યારેય વાત કરતા જ નથી. ક્યારેક જાત સાથે વાત કરી લેવી જોઈએ. સ્વયંને મનના ત્રાજવે તોલવાનો અને મોલવાનો મોકો દરેકે શોધી લેવો જોઈએ.
એકાંતની બારી ખોલીને બધાએ પોતાની પાસે જવું જ જોઈએ. તમે ક્યારેય આત્માની અદાલતમાં તમને રજૂ કર્યા છે ખરા? પોતાની જ સામે પોતાને રજૂ કરી ખૂબી અને ખામીઓને પુરવાર કરવા વકીલની જેમ દાવા-દલીલબાજી કરી છે ખરી? ન કરી હોય તો કરવી જોઈએ. એકાંતનો અરીસો આપણને સાચો ચહેરો બતાવતો હોય છે. તેમાં તમે આકાશ જેવી વિશાળતા પણ જોઈ શકો છો અને કૂવામાંના દેડકા જેવી સંકુચીતતા પણ. પોતાના ગુના કબૂલી શકાય તેવી એકાદ પળ આપણે ર્નિિમત કરવી જોઈએ. જ્યારે જાતને અંદરથી જોઈએ છીએ ત્યારે આપણે બહારથી ખૂલતા હોઈએ છીએ. ખૂલવું અને ખીલવું બંને એકમેકની આંગળી પકડીને ચાલતું હોય છે. વળાંક લેતો રસ્તો આવે ત્યારે આપણે રસ્તા સાથે વળી જવંું પડતું હોય છે, કેમ કે આપણે બધા નક્કી કરેલા રસ્તાના માણસો છીએ. ક્યારેક નિશ્ચિત થયેલી વાતથી ઉફરાંટા ચાલવું હોય તો રસ્તો બદલવો પડે છે, નવો ચીલો ચાતરવો પડે છે. રસ્તો ન હોય ત્યાં પણ રસ્તો કરવો પડે છે. જાત સાથે વાત કરવાની પળ એ નવો રસ્તો ચાતરવા જેવી વાત છે. તમે આકાશમાં પતંગ ઉડાડો ત્યારે આખું આકાશ ઉડાડયાનો આનંદ પણ લઈ શકો. એકધારા ફરતા ભમરડાની સાથે ક્યારેક બાળકનું ચિત્ત પણ ફરતું હોય છે. સ્થિર ફરતા ભમરડાને તમે જોયો હશે. કેટલો શાંત અને તલ્લીન હોય છે પોતાની ગતિમાં! એક જગ્યાએ જ શાંત રહીને પણ ગતિમાં રહી શકાય છે. જવાહર બક્ષીનો ચિરંજીવ કહી શકાય તેવો એક શેર છે-
શક્ય છે કે તમે તમારી સાથે વાતચીત કરતા હોય પણ એ વાતની તમને પણ ખબર ન હોય. જો તમે ક્યારેય પોતાની જાત સાથે વાત કરતા હોય તો તમારે ખુશ થવું જોઈએ, કેમ કે અમેરિકાની નોટિંધમ ટ્રેન્ટ યુનિર્વિસટીના સંશોધન અનુસાર જાત સાથે વાત કરવાથી તથા યોગ્ય ડાયરી બનાવીને તેમાં પોતાના વિચારો લખવાથી મનને શાંતિ મળે અને આરોગ્ય પણ સારું રહે છે. માત્ર મોટાં જ નહીં, બાળકોને પણ તેનાથી ફાયદો નોંધાયો છે. સંશોધનમાં નોંધાયું કે સ્કૂલમાં જતાં પહેલાં જે બાળકો પોતાની સાથે મોટે મોટેથી વાત કરે છે, ક્લાસમાં તેમની એક્ટિવિટી વધારે સારી જણાઈ આવી હતી.
પોતાની જાતને પૂછેલો એક સાચો સવાલ ક્યારેક અરીસા જેવો સાબિત થાય છે. તે આપણને આપણી અસલિયત દર્શાવી દે છે. માણસનો સૌથી મોટો મિત્ર તો એ પોતે જ હોય છે. તમે જેટલા તમને જાણતા હશો તેટલા કદાચ બીજા કોઈ નહીં જાણતા હોય. આપણને કોઈ લાગણીવશ એમ કહે કે 'તારા કરતાં પણ તને વધારે હું ઓળખું છું.' ત્યારે કદાચ તેમાં તમારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થઈ જાય, પણ એ વાત સંપૂર્ણપણે સાચી નથી હોતી, કેમ કે તમારાથી વધારે કોઈ તમને આ દુનિયામાં ઓળખી જ ન શકે. જાત સાથે વાત કરવી એ ખુદને ઓળખવાની પળ હોય છે. આપણે આ પળ ન ગુમાવવી જોઈએ. ક્યારેક એકાંતના ઓશિકે માથું મૂકી પોતાને પોતાની સાથે વાત કરી લેવી જોઈએ.
જેમ બહારના વાતાવરણમાં ઋતુ પરિવર્તન થાય છે, તેમ આપણી અંદર પણ મોસમનું પરિવર્તન થાય છે. ક્યારેક તે પ્રેમ લઈ આવે છે ક્યારેક ક્રોધ, ક્યારેક આંસુ લઈ આવે છે તો ક્યારેક સ્મિત, ક્યારેક શોક જન્માવે છે તો ક્યારેક ઉત્સવ. જુદી જુદી ઋતુ પ્રમાણે જુદા જુદા પાક લેવાતા હોય છે. શિયાળુ પાક,ઉનાળુ પાક, ચોમાસુ પાક વગેરે... આપણા મનમાં પણ સતત મોસમો બદલાતી રહે છે. તમારા મનમાં કઈ મોસમ ચાલી રહે છે તે ઓળખતા આવડવું જોઈએ, જેથી મનની ખેતી વધારે ફળદ્રુપ થઈ શકે. જાત સાથે વાત કરતા હોઈએ છીએ ત્યારે ખરેખર તો આપણે આપણી અંદર ખેતી કરતા હોઈએ છીએ.
 

No comments:

Post a Comment