Saturday, 16 August 2014


એક અધૂરી લવસ્ટોરી

 
 
 
"એક દર્દ હતું જેને મેં સિગારેટની જેમ ચૂપચાપ પીધું છે. ફક્ત કેટલાંક ગીત છે જે સિગારેટ પરથી મેં રાખની જેમ ખંખેર્યાં છે." અમૃતા પ્રીતમની કવિતાના આ શબ્દો છે. અમૃતા પ્રીતમના સંગ્રહ 'સુનેહડે'ને ૧૯૫૭માં અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. પંજાબી શબ્દ 'સુનેહડે' એટલે ગુજરાતીમાં સંદેશા. અમૃતાને અકાદમી પુરસ્કારની જાણ ફોન પર કરવામાં આવી. અમૃતા લખે છે, ફોન પર ખબર મળતાં માથાથી પગ સુધી હું સળગી ઊઠી. હે ભગવાન! આ 'સુનેહડે'(સંદેશા) મેં કોઈ ઇનામ માટે નહોતા લખ્યા. જેના માટે લખ્યા હતા તેણે વાંચ્યા નહીં, હવે આખી દુનિયા વાંચે તોયે મને શું?
અમૃતા પ્રીતમ આગળ લખે છે, તે દિવસે સાંજે એક પ્રેસ રિપોર્ટર આવ્યો. ફોટોગ્રાફર પણ સાથે હતો. તેને હું કવિતા લખતી હોઉં એવો ફોટો ખેંચવો હતો. મેં સામે મેજ પર કાગળ મૂક્યો અને હાથમાં કલમ લઈને કાગળ પર કોઈ કવિતા લખવાને બદલે એક અભાન જેવી દશામાં એનું નામ લખવા માંડયું, જેને માટે મેં 'સુનેહડે' લખ્યા હતા. સાહિર... સાહિર... સાહિર...
સાહિર સાથેની અમૃતાની એક બીજી ઘટના. અમૃતા ખુદ લખે છે, એક વાર એક ઉર્દૂ મુશાયરામાં લોકો સાહિરના ઓટોગ્રાફ લઈ રહ્યા હતા. લોકો છૂટા પડયા એટલે મેં હસીને મારી હથેળી એની સામે ધરીને કહ્યું, ઓટોગ્રાફ! સાહિરે હાથમાં લીધેલી કલમની શાહી પોતાના અંગૂઠા પર લગાડી અને એ અંગૂઠો મારી હથેળી પર લગાવ્યો, જાણે મારી હથેળીના કાગળ પર હસ્તાક્ષર કર્યા હોય! મારા આ કાગળ પર શું લખેલું હતું જેની પર એણે હસ્તાક્ષર કર્યા હતા, એ બધું હવાને હવાલે છે. એણે ન એને ક્યારેય વાંચ્યું ન જિંદગીએ... આ ઘટના પછી અમૃતાએ એક કવિતા લખી હતી, 'મારી જિંદગીના આ કાગળ પર તારા પ્રેમે અંગૂઠો પાડયો છે, એનો હિસાબ કોણ ચૂકવશે?'
સાહિર સાથેના પ્રેમની વાત અમૃતા પ્રીતમે તેની આત્મકથા 'રેવન્યુ સ્ટેમ્પ'માં દિલ ખોલીને લખી છે. અમૃતાએ લખ્યું છે, લાહોરમાં જ્યારે કોઈ વાર સાહિર મળવા આવતો હતો ત્યારે જાણે મારી ખામોશીમાંથી નીકળેલો એક કકડો ખુરશી પર બેસતો હતો અને ચાલ્યો જતો હતો. તે ચૂપચાપ ફક્ત સિગારેટ પીધા કરતો. લગભગ અડધી સિગારેટ પીને રાખદાનીમાં બુઝાવી દેતો, પછી નવી સિગારેટ સળગાવી લેતો. એના ગયા પછી કેવળ સિગારેટના મોટા મોટા ટુકડા ઓરડામાં રહી જતા. કોઈક વાર એના હાથને સ્પર્શવાની ઇચ્છા થતી પણ મારી સામે મારા જ સંસ્કારોનું એક એવું અંતર હતું જે કાપી શકાતું ન હતું. સાહિરના ગયા પછી હું એણે નાખેલા સિગારેટના ટુકડા સંભાળીને ખાનામાં મૂકી દેતી અને પછી એકલી બેઠી બેઠી, એક એક ટુકડો સળગાવતી અને આંગળીઓની વચ્ચે પકડતી ત્યારે લાગતું હતું કે હું જાણે એના હાથને સ્પર્શી રહી છું. સિગારેટ પીવાની આદત મને ત્યારે જ પહેલી વાર પડી. દરેક સિગારેટ સળગાવતી વખતે લાગતું કે તે પાસે છે. સિગારેટના ધુમાડામાં જાણે એ જીવનની જેમ પ્રગટ થઈ જતો.
૩૪ વર્ષ અગાઉ ૨૫મી ઓક્ટોમ્બર, ૧૯૮૦ના રોજ ૫૯ વર્ષની ઉંમરે સાહિર લુધિયાનવી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. નવ વર્ષ અગાઉ ૩૧મી ઓક્ટોમ્બર, ૨૦૦૫ના રોજ ૮૬ વર્ષની ઉંમરે અમૃતા પ્રીતમે પણ દેહ છોડી દીધો. હજુ એક એવી વ્યક્તિ દિલ્હીમાં રહે છે જેણે અમૃતા પ્રીતમને ભરપૂર પ્રેમ કર્યો છે એ છે ઇમરોઝ. ૪૧ વર્ષ સુધી ઇમરોઝ અમૃતા સાથે લિવ-ઇન રિલેશનમાં રહ્યા. ઇમરોઝ એક એવા પ્રેમી હતા જેણે અમૃતાનો સાહિરનો પ્રેમ પણ સહજતાથી જીવી જાણ્યો છે. ઇમરોઝનો પ્રેમ તો સાહિર અને અમૃતાના પ્રેમ કરતાં પણ ચાર ચાસણી ચડે એવો હતો. કોઈ અપેક્ષા નહીં, કોઈ ફરિયાદ નહીં, માત્ર ને માત્ર સંપૂર્ણ સ્વીકાર અને છલોછલ પ્રેમ. એક જ ઘરમાં એકસાથે બે લવસ્ટોરી જિવાતી હતી. અમૃતા અને સાહિરની તથા ઇમરોઝ અને અમૃતાની!
અમૃતા અને સાહિર બંનેનો જન્મ અત્યારના પાકિસ્તાનમાં થયો. ભાગલા પડયા પછી બંને ઇન્ડિયા આવી ગયાં. મુલાકાતો થતી, વાતો થતી અને પ્રેમનો અહેસાસ જીવંત થતો. દિલ્હી આવ્યા પછી એક દિવસ અચાનક જ સાહિરે ફિલ્મમાં કરિયર બનાવવાના હેતુથી મુંબઈ પ્રયાણ કર્યું. સાહિરે લગ્ન કર્યાં જ નહીં, અમૃતા પ્રત્યે તેનેય પ્રેમ હતો. એ પ્રેમ અધૂરો જ રહ્યો. મુંબઈ આવ્યા પછી સાહિરના સંબંધો વિશે પણ ચર્ચાઓ થતી. આખરે સાહિર પણ ઉચ્ચ કક્ષાના શાયર હતા, છતાં તેના દિલના એક ખૂણામાં અમૃતા જ જીવતી હતી.
ઇમરોઝ અમૃતામય હતા. અમૃતાની સાહિર પ્રત્યેની લગ્ન અને તડપના તે સૌથી મોટા સાક્ષી હતા. અમૃતા સ્કૂટર પર પાછળ બેસી ઇમરોઝ સાથે જતાં હોય ત્યારે પણ અમૃતા ઇમરોઝની પીઠ પર શર્ટ ઉપર આંગળીથી સાહિર લખતાં હતાં. ઇમરોઝ કહેતાં કે મને ખબર છે કે તું શું લખે છે! જિંદગીની છેલ્લી ક્ષણ સુધી ઇમરોઝ અમૃતાની સાથે રહ્યા. ઇમરોઝે સાહિર સાથે જ અમૃતાનો સ્વીકાર કર્યો હતો. જે સાહિર માટે અમૃતા તડપતી હતી એ જ સાહિર તેને છોડીને મુંબઈ ચાલ્યો ગયો હતો. સાહિરને ફોન કરીને અમૃતા પોતાનું મન મનાવતાં હતાં.
૧૯૬૦ના વર્ષના એક દિવસની વાત છે. અમૃતા તેની આત્મકથામાં લખે છે. આ વર્ષ મારી જિંદગીનું સૌથી ઉદાસ વર્ષ હતું. જિંદગીના કેલેન્ડરમાં ફાટેલાં પૃષ્ઠ જેવું! સાહિર સાથે વાત કરવા ફોન પાસે ગઈ. ફોન પાસે જ 'બ્લિટ્ઝ' અખબાર પડયું હતું. તેમાં એક તસવીર છપાઈ હતી. સમાચાર પણ હતા કે સાહિરને જિંદગીની એક નવી મહોબ્બત મળી ગઈ છે. હાથ ફોનના ડાયલથી થોડા ઈંચ દૂર શૂન્યમાં ઊભા રહી ગયા. મેં મરવાનો વિચાર કર્યો. આવો ભીષણ વિચાર જ્યારે થોડોક મોળો પડયો ત્યારે મેં જીવવા માટે મારું મન દૃઢ કરી લીધું. મેં વિચાર્યું કે ઉદાસીને હું મારો એક શાહી લિબાસ બનાવી દઈશ અને આખો વખત પહેરી રાખીશ. એ વર્ષના અંતમાં હું એક સાઇકિયાટ્રિસ્ટની સારવાર નીચે રહી. એના કહેવા પ્રમાણે દરરોજ મારાં વિચારો અને સ્વપ્નો કાગળ પર લખ્યાં કરતી હતી. આ વિચારો અને સ્વપ્નોની વાત અમૃતાએ તેની આત્મકથામાં લખી છે. વેદનાની પરાકાષ્ઠા કેવી હોય એ તેની દરેક વાતમાં છલકે છે.
અમૃતાને પહેલા લગ્નથી બે સંતાનો હતાં. દીકરો નવરોજ અને દીકરી કંદલા. નવરોજની ઉંમર તેર વર્ષની હતી. બધા એવી વાતો કરતા હતા કે નવરોજ અમૃતાના પતિનો નહીં પણ સાહિરનો દીકરો છે. એક દિવસ ખુદ નવરોજે અમૃતાને પૂછીને ચોંકાવી દીધી. નવરોજે કહ્યું કે, "મમ્મા, એક વાત પૂછું? સાચેસાચું કહીશ?" અમૃતાએ હા પાડી. નવરોજે પૂછયુંં, "શું હું સાહિર અંકલનો દીકરો છું?" અમૃતાએ એક જ શબ્દમાં જવાબ આપ્યો, ના. નવરોજે કહ્યું કે, "પણ જો હોઉં તો કહી દો. મને સાહિર અંકલ ગમે છે." અમૃતાએ કહ્યું કે, "હા દીકરા, મને પણ ગમે છે, પણ જો એ સાચું હોત તો મેં તને જરૂર કહી દીધું હોત." અમૃતા લખે છે, સત્યનું એક બળ હોય છે, એટલે મારા દીકરાને વિશ્વાસ બેઠો. વિચાર આવે છે કે કલ્પનાનું સત્ય નાનું નહોતું, પરંતુ તે ફક્ત મારા માટે હતું. તે સત્ય સાહિર માટે પણ નહોતું.
અમૃતા જીવતી હતી ઇમરોઝ સાથે, પણ એનો જીવ સાહિરમાં હતો. અલબત્ત, ઇમરોઝની તેને કદર હતી. અમૃતાએ લખ્યું છે કે, જિંદગીની બધી મુશ્કેલીઓ નાનું સત્ય છે અને ઇમરોઝનો સાથ મોટું સત્ય. ઇમરોઝનાં અમૃતાએ ભરપેટ વખાણ કર્યાં છે છતાં એણે સાહિરના પ્રેમને ક્યારેય છુપાવ્યો નથી. એક વખત અમૃતાએ કહ્યું હતું કે, ઇમરોઝ મારું છાપરું છે અને સાહિર મારું આકાશ!
હવે આ લવસ્ટોરી પડદા પર આવવાની છે. અમૃતા, સાહિર અને ઇમરોઝના સાહિત્યથી જે લોકો વાકેફ છે એને એવો વિચાર આવી જ જાય કે આ ત્રણેયના પ્રેમની ડેપ્થ, એકબીજાની તડપ અને સંવેદનાનું સત્ય કોઈ કલાકાર ઝીલી શકશે કે કેમ? આ લવસ્ટોરી ઉપરાંત અમૃતા પ્રીતમની લાઇફનાં કેટલાં બધાં પાસાં છે. અલ્હડ સુંદરતાની સાથે ગજબની લેખનશૈલી કુદરતે અમૃતાને આપી હતી. સાહિરની રચનાઓની તો વાત જ નિરાળી છે. એ બંને વચ્ચે એક ચિત્રકાર ઇમરોઝ. એવું લાગ્યા વગર ન રહે કે પ્રેમ કોઈક જુદી જ ધરી ઉપર હન્ડ્રેડ પર્સન્ટ જિવાતો હતો. અધૂરાપણામાં પણ સંપૂર્ણતા હતી અને સંપૂર્ણતામાં પણ કંઈક અધૂરપ હતી!
અમૃતા પ્રીતમ લખે છે, ખુશવતસિંઘે રેવન્યુ સ્ટેમ્પ કદાચ એટલા માટે કહ્યું હશે, કારણ કે બીજી ટિકિટોની સાઇઝ બદલતી રહે છે, પણ રેવન્યુ સ્ટેમ્પની એ જ નાનકડી સાઇઝ રહે છે. તેણે બરાબર જ કહ્યું હતું. જે કંઈ બન્યું, મનની ભીતરમાં બન્યું અને એ બધું નજમો અને નોવેલ્સને હવાલે થઈ ગયું. પછી બાકી શું રહ્યું? તોપણ થોડુંક લખું છું. કંઈક એવું, જાણે જિંદગીના હિસાબના કાગળો પર એક નાનકડો રેવન્યુ સ્ટેમ્પ ચોંટાડું છું. નજમો અને નોવેલ્સના હિસાબના કાચા સ્ટેમ્પને પાકો સ્ટેમ્પ કરવા માટે.
 

No comments:

Post a Comment