SANKLAN
DINESH GOGARI'S BLOG
Friday, 22 August 2014
અમને નાખો જિંદગીની આગમાં !
ડૉ. આઈ. કે. વીજળીવાળા
(સત્ય ઘટના)
પ્રચંડ અવાજે અમારા હેડમાસ્ટર શ્રી ભોથાભાઈ ગુરુજી અમને સૌને પ્રાર્થનાસભામાં કહી રહ્યા હતા, ‘યાદ રાખજો, જિંદગી આસાન નથી હોતી. એને આસાન બનાવતા આવડવું જોઈએ ! સંજોગો હંમેશાં અનુકૂળ ન પણ હોય, એને અનુકૂળ બનાવવા પડે. એ માટે ઝૂઝવું પડે તો ઝૂઝવાની તૈયારી પણ રાખજો, પરંતુ ક્યારેય નાસીપાસ ન થતા. પેલી કવિતાની પંક્તિઓ હંમેશાં યાદ રાખજો કે : અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં ! દરેક વિદ્યાર્થીને મારી વિનંતી છે કે આ વાક્યો પોતાના મનમાં કોતરી રાખે…..’ એમની અસ્ખલિત વાણી અમારા મનમાં ઊંડેઊંડે હિંમતના છોડવાઓનાં અદશ્ય બીજ રોપી રહી હતી. અમે સૌ જિંદગીના સામટા ઝંઝાવાતો સામે ઝૂકી ન જઈએ એ માટે ભોથાભાઈ ગુરુજી જાણે કે અત્યારથી જ અમારી હિંમતના પાયામાં પ્રેરણાના શબ્દોનું પોલાદ ભરીને એક નક્કર માળખું ઊભું કરી રહ્યા હતા. અને સાચ્ચે જ ! એવું જ બન્યું બધું. મારા કિસ્સામાં તો એમ જ થયું. જિંદગીએ અવનવા ખેલ તો પહેલેથી જ દેખાડ્યા હતા, પરંતુ મારા બારમા ધોરણથી તો એણે મુસીબતોનો પટારો જ જાણે કે ખોલી નાખ્યો હતો. એમ.બી.બી.એસ.નાં વરસોમાં એણે મને કરી શકાય એટલો હેરાન કરવાની ભરપૂર કોશિશ કરી હતી, પરંતુ ગળથૂથીમાં જ મુસીબતો પીને મોટા થયેલા અમને એ બધું હેરાન જરૂર કરતું, હલબલાવી નાખતું, પરંતુ અમને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનું એમનાથી શક્ય નહોતું બન્યું. 1983ના ફેબ્રુઆરીની પહેલી તારીખથી મારી ઈન્ટર્નશિપ શરૂ થઈ. પ્રથમ ટર્મના ત્રણ મહિના મેં મારા જ ગામમાં આવેલી અમરગઢ ટી.બી. હૉસ્પિટલમાં ટ્રેનિંગ લેવાનું નક્કી કર્યું હતું. જે ગામની ધૂળમાં રગદોળાઈને હું મોટો થયો હતો એ જ ગામમાં ડૉક્ટર થઈને આવવાનો એક અનેરો આનંદ મારા મનમાં થતો હતો. ઘરનું, બહારનું વાતાવરણ એ જ હતું. પરંતુ દિવસો સરસ રીતે પસાર થતા હતા. માર્ચ મહિનાની આખર તારીખો ચાલતી હતી. એક સાંજે અમે સૌ વાળુ કરીને બેઠા હતા. અલકમલકની વાતો ચાલી રહી હતી ત્યાં જ મારાં બા બોલ્યાં : ‘ભાઈ, ઓતરાદી (ઉત્તર તરફની) ભીંત હવે બહારની તરફ નમતી જાય છે. ઉપરનાં પતરાં પણ સડી ગયાં છે. લાગે છે કે આ વખતે ઈ વરસાદની ઝીંક નહીં ઝીલે. આવતું ચોમાસું હવે આ ઘરમાં નહીં નીકળે !’ અમારી વાતોમાં સોપો પડી ગયો. હું જમીન પર આવી ગયો. ડૉક્ટર બની જવાના આનંદમાં એ તો ભુલાઈ જ ગયું હતું કે હજુ તો ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. ઘર તો હજુ એ જ ઝૂંપડી છે. ફક્ત લાઈટ આવી ગઈ હતી, એટલું જ ! પરંતુ એને ટેકો આપતી દીવાલો કાચી માટીની જ હતી હજુ તો. ‘તો શું કરશું, બા ?’ મેં સવાલ કર્યો. ‘બીજું કાંઈ નહીં તો ઓતરાદી ભીંત તો પાડીને ફરીથી ચણવી જ પડશે. એમ કર્યા વિના છૂટકો જ નથી.’ બાએ કહ્યું. એ પછી ઘરમાં વરસોથી અમે સૌ જેને બરાબર ઓળખતા હતા એ શાંતિ છવાઈ ગઈ. દરેક જણ જાણતું હતું કે ઓતરાદી ભીંત ફરીથી ચણવી જ પડશે અને દરેક જણ એ પણ સમજતું હતું કે એ કઈ રીતે ચણવી ? પૈસા તો હતા નહીં. મારું સ્ટાઈપેન્ડ મહિને ફક્ત 525 રૂપિયા હતું. એમાંથી વધી વધીને દોઢ હજાર ઈંટ આવી શકે. એનાથી વિશેષ કંઈ નહીં. પછી ચૂનો, સિમેન્ટ તેમ જ રેતી વગેરેના પૈસા ક્યાંથી કાઢવા ? એ પ્રશ્ને બધાને ચૂપ કરી દીધા હતા. એ શાંતિ ખાસ્સો વખત એમ જ જળવાઈ રહી. ઘણો વખત એમ જ વિચાર્યા પછી મારા મગજમાં ઝબકારો થયો. વડોદરામાં મારા એક ખૂબ નજીકના મિત્ર હતા. એમ કહી શકાય કે વડોદરામાં અમારા સુખદુઃખના સાથી હતા એ. જે સમયે ઘરમાં એક સ્કૂટર હોવું એ જાહોજલાલી ગણાતી હતી એ સમયે એમના ઘરે એક કાર અને બબ્બે સ્કૂટર હતાં. મોટો વૈભવશાળી બંગલો, આધુનિક ફર્નિચર, નોકરચાકર બધું જ એમને ત્યાં હતું. એમના માટે મને 2000 (બે હજાર) રૂપિયા આપવા એ ડાબા હાથનો ખેલ હતો. હું એમને મારા દિલથી એટલો નજીક ગણતો હતો કે એમની પાસે પૈસા માગતો કાગળ લખવામાં જરાય સંકોચ નહોતો થયો. અમારા માટે હોટલમાં સો-દોઢસો રમતમાં ખરચી નાખતા એ મિત્રને મેં મારી જરૂરિયાત અંગે અંતર્દેશિય પત્ર લખ્યો. અમારા ગામમાં એ વખતે એક કૉન્ટ્રાક્ટર ભાઈ વીસ હજાર રૂપિયામાં બે રૂમ, ઓસરી અને રસોડાવાળું પાકું મકાન બનાવી આપતા હતા, પરંતુ એમને બે હજાર રૂપિયા ઍડવાન્સ આપવા પડતા હતા. બાકીના પૈસા હપતેહપતે ચૂકવી આપો તો ચાલે. અમે એમની પાસે જ નાનકડું ઘર બનાવી લેવાનો વિચાર કરતા હતા એટલે મારા મિત્રને મેં કાગળ લખ્યો એ પછીના અઠવાડિયા બાદ અમે વળતા કાગળ કે મનીઑર્ડરની રાહ જોવા માંડ્યા. રોજ બપોરે ટપાલીભાઈને જોતાં જ મારા ધબકારા વધી જતા. એ મનીઑર્ડર મળ્યા પછી જ અમે ઘરનું કામ શરૂ કરી શકીએ એમ હતા, એટલે અમારા બધાની હાલત એકસરખી જ હતી. દસમા દિવસ પછી તો સવારથી જ બધા વડોદરાની ટપાલની રાહ જોવા માંડતા. અગિયારમા દિવસે મેં લખેલો હતો એવો જ અંતર્દેશિય પત્ર આવી પહોંચ્યો. અમે હોંશેહોંશે એ પત્ર ખોલ્યો, પરંતુ મુશ્કેલીમાં પડેલા માણસનું ભાગ્ય હંમેશાં બે ડગલાં આગળ જ હોય એમ લાંબા અને પૂરેપૂરા લખેલા એ કાગળનો સાર હતો : હાલ પૈસાની વ્યવસ્થા થઈ શકે તેમ નથી ! દુકાળિયાને આખો અષાઢ કોરો જતો રહે અને જેવો શેરડો પડે, એવો જ શેરડો અમારા કાળજે પડી ગયો. ‘મોટા માણસોને મોટા ખરચા આવતા હશે’ એવું માનીને અમે તરત જ સ્વસ્થ થઈ ગયા. આમેય અમારી મિત્રતામાં શ્રીકૃષ્ણ ભગવાને સુદામાને આપેલું એવું કોઈ વચન તો મારા મિત્રે મને આપ્યું નહોતું ! પછી એમને દોષ દેવાનું કોઈ કારણ જ નહોતું. મેં મારા મનમાં લાગેલા આઘાતને પણ ખંખેરી નાખ્યો, પરંતુ એ સાથે જ ફરીથી પેલો યક્ષપ્રશ્ન અમારી સામે આવીને ઊભો રહી ગયો કે, ‘હવે ?’ યુધિષ્ઠિર સિવાયના પાંડવોની જે દશા યક્ષે કરેલી એના જેવી જ દશા અમારી પણ આ પ્રશ્ને કરી નાખી હતી. થોડા દિવસ અમને કોઈને હવે શું કરવું એ ન સૂઝ્યું. હું ડૉક્ટર બની ગયો હતો, પરંતુ હજુ ઈન્ટર્ની હતો. મને મળતાં 525 રૂપિયાના ભથ્થાથી એક પૈસો પણ વધારે કમાઈ શકું એમ નહોતો. ઈન્ટર્નશિપ પૂરી કરીને નોકરીએ લાગુ એ પછી ઘણા પૈસા મળી શકવાની શક્યતાઓ હતી, પરંતુ ઘરની ભીંત ત્યાં સુધી રાહ જોઈ શકે તેમ નહોતી. બીજા ત્રણથી ચાર દિવસ એમ જ નીકળી ગયા. એ પછીની એક રાત્રે અમે બધાં બેઠાં હતાં ત્યારે અચાનક મેં કહ્યું, ‘આપણે સૌ જાતે જ આપણું ઘર ચણીને ઊભું કરીએ તો કેવું ? કૉન્ટ્રાક્ટર વગર પણ એ કામ થઈ શકે જ ! આપણા હાથે જ આપણે ચણીએ તો આ બધી માથાકૂટ તો નહીં. પૈસાની વ્યવસ્થા થઈ નહીં શકે એ તો આપણે જાણીએ જ છીએ. બોલો, છો તૈયાર ?’ બધાં થોડી વાર મારી સામે જોઈ રહ્યાં. પછી એકઅવાજે મારા સૂચનને સૌએ વધાવી લીધું. આમેય અમારામાંથી કોઈ રેશમી તળાઈઓમાં સૂવાવાળું તો હતું નહીં. બધાં જ ભોંય પથારીવાળા હતાં, એટલે તનતોડ મહેનત કરવાથી કોઈ ડરે કે પાછું પડે એવું તો હતું જ નહીં. એ રાત્રે જ અમે સાવ સાદા બે ઓરડા, ઓસરી અને રસોડાવાળા ગામઠી ઘરનો પ્લાન વિચારી લીધો. એનો વિસ્તાર પણ નક્કી કરી નાખ્યો. જૂના ઘરનાં પતરાં ઉતારી લીધાં. જૂના ઘરના રસોડા તરફનો ભાગ નવા ઘરની બધી દીવાલો ચણાઈ જાય એ પછી જ હટાવવો એવું નક્કી કર્યું, જેથી કરીને એ ધોમધખતા તડકામાં રસોઈ બહાર બેસીને ન બનાવવી પડે. ઓતરાદી દીવાલને તો ટેકો હટાવતા વેંત એ જમીનદોસ્ત બની ગઈ. બીજા દિવસે સોમવાર હતો. સોમવારની સવારથી પાયા ખોદવા એવું નક્કી કરી અમે સૌ સૂઈ ગયાં. સવારે ઊઠીને હું મારી હૉસ્પિટલ ડ્યૂટી પર ગયો. બપોરે બાર વાગે દવાખાનેથી આવીને મેં જૂનાં કપડાં પહેરી લીધાં. 45 ડિગ્રી તડકામાં સૂર્યનારાયણના પ્રકોપથી બચવા માટે કપડું બાંધી લીધું. પછી ઉપરવાળાનું નામ લઈને ચૂનાથી ઘરના પાયા ચીતર્યા. લગભગ દોઢ વાગ્યાની આસપાસ મેં ત્રિકમ હાથમાં ઉપાડ્યું. હું અને અબુભાઈ નામના મારી બાના પિતરાઈ ભાઈ બંને ઝડપભેર ખોદવા માંડ્યા. પથરાળ જમીન હતી એટલે વધારે ઊંડું ખોદવાની જરૂર નહોતી અને આમેય ક્યાં અમારે બહુમાળી બિલ્ડિંગ ઊભી કરવી હતી કે ખૂબ ઊંડા પાયાની જરૂર પડે ! સાંજ સુધીમાં પાયા તૈયાર થઈ ગયા. રાતના વાળુ પછી, જમીનદોસ્ત થઈ ગયેલી જૂની દીવાલોમાંથી ઈંટો કાઢી, સાફ કરી એને જુદી ગોઠવવાનું કામ શરૂ કરી દીધું. એ કામ લગભગ રાતના બે વાગ્યા સુધી ચાલ્યું. એ પછી શરીરનો દુખાવો ન થાય એ માટેની ટીકડીઓ ખાઈને અમે સૂઈ ગયાં. બસ, પછી તો એ જ રૂટિન બની ગયું. સવારે હું સ્ટેથોસ્કોપ ગળામાં ભરાવીને ડૉક્ટર બની જાઉં અને બપોર પછી ગારો-માટી ખૂંદતો મજૂર ! ખાડા ખોદી માટી કઢાવી, એ માટીનું ગારિયું કરવું (માટી ચણવાના કામમાં આવી શકે એવી બનાવવી), ઈંટોને ધોવી અને પાણીથી સંતૃપ્ત કરવી વગેરે રોજનાં કામ બની ગયાં હતાં. થોડાઘણા પૈસાની ક્યાંકથી વ્યવસ્થા થાય તો અમે પાંચસો કે હજાર ઈંટ પણ ખરીદી લાવતા. શ્રી રાઘવભાઈ કરમશીભાઈ પટેલ કરીને એક ખેડૂતભાઈએ ઈંટો લાવવા માટે એમના ગાડાની સેવા વિનામૂલ્યે આપી હતી. એ ભાઈ એટલા તો ઉદારદિલ હતા કે ઈંટો પણ ઊંચકાવવા લાગતા. ઘરે આવી ગયા પછી ઊતરાવવામાં પણ મદદ કરતા. અમને આવું કંઈક નવું કરતા જોવાવાળા દરેકને અમારા જોમની અસર થાય એવું જ હતું. રાઘવભાઈ એમાંથી બાકાત રહી શકે તેમ નહોતા. આ બધા વચ્ચે મારા હાથ પણ ચણતર કામમાં ધીમેધીમે નિષ્ણાતનું સ્વરૂપ પકડતા જતા હતા. સવારે ટી.બી.ના દર્દીઓની છાતી ઠપકારીને તપાસ કરતા મારા હાથ, સાંજે ઈંટોને ઠપકારીને જોતા હતા. આઠમા દિવસે એક બીજી તકલીફ સામે આવીને ઊભી રહી ગઈ. ઈંટો ખૂટી ગઈ હતી. નવી ઈંટો લેવાના પૈસા નહોતા. જૂની દીવાલોમાંથી નીકળેલ ઈંટો અને થોડી ઘણી ખરીદેલી ઈંટો ખલાસ થઈ ગઈ હતી. એ સાંજથી અમે અવાવરુ જગ્યાઓએ પડેલ નધણિયાતી ઈંટો રખડીરખડીને એકઠી કરી. ગામના કુંભારના હૃદયે રામ વસી ગયા. ક્યારેય એકાદ રૂપિયાનું ઉધાર ન રાખતા ભાઈએ પૂરી એક હજાર ઈંટ અમને પૈસા પછી ચૂકવી દેવાના વાયદા સાથે આપી અને અમારું અભિયાન આગળ ચાલ્યું ! અને એમ કેટલાય ચડાવઉતાર પાર કરતા, જાત મહેનત ઝિંદાબાદ કરતા કરતા દસમા દિવસે ઘરનું ખોખું તૈયાર થઈ ગયું. મારા પ્લાન મુજબ, મારા હાથે ચણાયેલું, મારા ઓળિંભાની દોરીએ તૈયાર થયેલું એ માટી-ગારા-ઈંટનું ચણતર હવે ભીંતોનું સ્વરૂપ લઈને ઊભું રહી ગયું હતું. ઘરનું ખોખું તો તૈયાર થઈ ગયું, પરંતુ પેલો યક્ષપ્રશ્ન ફરીથી અમારી સામે આવીને ઊભો રહી ગયો કે ‘હવે ?’ ઘરના તૈયાર ખોખાને છાપરાથી ઢાંકવું તો પડે, પરંતુ જુના ઘરના વાંસડા, લાકડાં તેમ જ વળીઓ ઉપયોગમાં લીધા પછી પણ અડધા ઉપરાંતનું ઘર છાપરાં વગરનું રહી જતું હતું. નળિયાં પણ હજુ ખરીદવાનાં બાકી હતાં. આશરે દોઢથી બે હજાર રૂપિયાનો સામાન ખૂટતો હતો. અમે સૌ થોડાક હતાશ થઈ ગયા. ઘર બનાવવાનું શરૂ કર્યું એ પહેલા એક સાંધો અને તેર તૂટે એવો ઘાટ હતો. હવે લગભગ તેર સંધાઈ જવા આવ્યા હતા તો એક તૂટતું હતું. એ સાંજે ફરીથી વાળુ પછી બધાં વિચાર કરતાં હતાં કે હવે શું કરવું. અચાનક મને વિચાર આવ્યો કે મારા એક મિત્રના પિતાજી જે પાલિતાણા ગામમાં વકીલ હતા એ મને મદદ કરી શકે. મેં વાત મૂકી, ‘હું પાલિતાણા જઈ આવું તો ? મારા મિત્રના પપ્પા ત્યાંના જાણીતા વકીલ છે અને ખૂબ જ સારા માણસ છે. એમની પાસે પૈસા માગી શકાય.’ ‘આપશે ખરા ?’ બધાના મોઢામાંથી એકસાથે એક જ સવાલ નીકળી પડ્યો. ‘મારું મન કહે છે ના નહીં પાડે. એ ખૂબ જ સારા માણસ છે.’ આશાની દોરીએ લટકવાની મને ફાવટ આવી ગઈ હતી. બધાએ હા પાડી. જોકે એ સિવાય છૂટકો પણ નહોતો. બીજા દિવસે હું પાલિતાણા ગયો. મારા મિત્રના પિતાશ્રી એ વખતે પાલિતાણાના ખ્યાતનામ વકીલ હતા. એમણે મારી વાત સાંભળીને તરત જ એક હજાર રૂપિયા રોકડા કાઢી આપ્યા. મારા પરનો એમનો વિશ્વાસ જોઈને હું છક થઈ ગયો. એમની દરિયાદિલી પણ મને સ્પર્શી ગઈ હતી. સગા ભાઈઓને પણ સ્ટેમ્પપેપર પર લખ્યા વિના લોકો પૈસા નથી આપતા, તો આ તો મારા કોઈ જ સગા નહોતા થતા. એમની મદદથી હવે અમારું કામ નહીં અટકે, એવો વિશ્વાસ આવી ગયો. એમનો આભાર માની હું પાછો ફર્યો. બીજા દિવસથી અમારું રગશિયું ગાડું પંથે પડ્યું. ઘરનાં છાપરાં માટે જરૂરી વાંસ, લાકડાં અને નળિયાં આવી ગયાં. ગામના મિસ્ત્રીની મદદથી છાપરું બની ગયું, પરંતુ હવે ઘરની ભોંયને ગાર-માટી વડે લીપવી કે લાદી નાખવી એ મૂંઝવણ ઊભી હતી. અંગ્રેજીમાં એક કહેવત છે ને કે : મુશ્કેલીમાં જે મદદ કરે એ જ સાચો મિત્ર ! (A friend in need, is a friend indeed !) આ વખતે મારા જ ગામનો મારો મિત્ર ઘનશ્યામ ભલાણી મારી વહારે આવ્યો. એના ઓળખીતાની ભાવનગર સ્થિત દુકાનમાંથી ખૂબ જ ઓછા ભાવે મોઝેઈક ટાઈલ્સ લેવડાવી આપી. વરસોથી ખરબચડી ગારમાં પડતા પગ હવે લાલ-લીલી મોઝેઈક ટાઈલ્સ પર પડવા લાગ્યા. એ પછી ગામડાની ખાસિયત પ્રમાણે દીવાલો પર આછો ભૂરો રંગ પણ લગાવાઈ ગયો. એ સાથે જ અમારું ઘર બની ગયું. અનિશ્ચિતતાના ઓથાર નીચે શરૂ થયેલું એ કાર્ય નક્કર સ્વરૂપ લઈને ઊભું રહી ગયું. મુશ્કેલીઓ એક પછી એક આવતી ગઈ, પરંતુ એના ઉપાયો પણ નીકળતા જ ગયા. કોઈક દરવાજો બંધ થતો લાગ્યો તો બીજો ખૂલતો ગયો. ઝીરો બૅલેન્સ સાથે શરૂ કરેલું એક મોટું કામ પૂરું થયું ત્યારે પણ બૅલેન્સ તો ઝીરો જ હતું ! એ પછીના દિવસે સાંજે ચારેક વાગે મારાં બા નવા ઘરના રસોડામાં માટીનો ચૂલો બનાવી રહ્યાં હતાં. અમે બધા નવી ચળકતી ટાઈલ્સ પર પાથર્યા વિના જ બેઠાબેઠા અમારા હાથમાં પડેલા ફરકોલા ગણી રહ્યા હતા. ‘એક ભીંતમાંથી આખું ઘર થઈ જાશે એવું નહોતું ધાર્યું હોં ! આટઆટલાં વિધન (વિઘ્નો) આવ્યાં તોય પાડ માનીએ ઉપરવાળાનો કે એણે આપણને પાર ઉતાર્યા ! અને ઘર બની ગયું.’ ચૂલો કોરતાં મારાં બા પાડોશમાંથી આવેલ બહેન જોડે વાત કરતાં હતાં. ‘અને તમે બધાય જબરા કહેવાવ, હાજુબહેન ! ખરી હિંમત કરી તમે બધાએ, નહીંતર આમ ઘર ન બને !’ અમારા ઘેર બેસવા આવેલ બાજુમાં રહેતાં પડોશી બહેન બોલ્યાં. એમની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો. એ જ સમયે મને પ્રચંડ અવાજે બોલતા અમારા હેડમાસ્તર શ્રી ભોથાભાઈ ગુરુજી યાદ આવી ગયા. જાણે અમને કહેતા ન હોય કે : ‘દરેક વિદ્યાર્થી હંમેશાં યાદ રાખજો કે….
અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં !’
(કાવ્ય પંક્તિના રચાયિતા : શ્રી શેખાદમ આબુવાલા)
__._,_.___
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment