SANKLAN
DINESH GOGARI'S BLOG
Wednesday, 13 August 2014
Dr. Sharad Thakar
- તબીબોને કહી દો કે માથું ન મારે દરદ સાથે સીધો પરિચય છે મારો, હકીકતમાં હું એવો રોગી છું, જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે
- દવાઓ બંધ થયા પછી થોડાક દિવસો સુધી તો બધું સરસ રીતે ચાલ્યું, પછી અચાનક એમનું બ્લડપ્રેશર વધી ગયું. એમને ખબર પણ ન પડી. એમનું કામ કરતા હતા ત્યારે જેટ વિમાન 'ટેક ઓફફ' કરે એવી સ્પીડે એમને બી.પી. શૂટ અપ થયું.
ડો.ધીમંત ત્રિવેદી, સુરેન્દ્રનગરની મ્યુનિસિપલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે 'જોબ' કરે. એમબીબીએસ ડોક્ટર એટલે સબ બંદર કા વેપારી. દર્દીઓની ભીડ જામે. કામની બાબતમાં પૂરેપૂરા સંનિષ્ઠ. દરેક દર્દીને ધ્યાનપૂર્વક સાંભળે અને યોગ્ય સારવાર આપે. દિવસના ઘણા બધા કલાકો આમાં જ વપરાઈ જાય. પગાર વસૂલ થઈ જાય.
અચાનક ત્રેપનમા વરસે ડો. ત્રિવેદીને એક દિવસ સહેજ ચક્કર આવી ગયાં. માથું અને છાતી ભારે ભારે લાગવા માંડયાં. જાતે જ નર્સની મદદથી બી.પી. ઇન્સ્ટમેન્ટનો પટ્ટો બાવડા ઉપર વીંટાળીને એમણે પોતે જ પોતાનું બ્લડપ્રેશર માપ્યું.
'ના હોય સિસ્ટર, મારું બી.પી. આટલું વધારે ન હોય' એમના મુખેથી આશ્ચર્યોદ્ગાર સરી પડયા.
'બી.પી. કેટલું છે, સર?' નર્સે જિજ્ઞાસા દર્શાવી.
'ઉપરનું એટલે કે સિસ્ટોલિક એકસો સાઠ મિ.મિ. છે અને નીચેનું ડાયસ્ટોલિક પ્રેશર એકસો વીસ મિ.મિ. છે.'
'ત્યારે તો તમારે ટેબ્લેટ્સ શરૂ કરી દેવી જોઈએ.' નર્સ પણ ચિંતામાં સરી પડી.
'યુ આર રાઇટ, પણ મારી સારવાર હું નક્કી નહીં કરું, કોઈ ફિઝિશિયનની સલાહ લઈને પછી જ ટ્રીટમેન્ટ ચાલુ કરીશ.'
'કેમ, એવું કરશો, સર?' નર્સે પૂછયું : 'તમારી ઓ.પી.ડી.માં આવતા કેટલાય દર્દીઓનાં બી.પી. તો તમે 'ટ્રીપ' કરી જ આપો છો, તો પછી તમારી ટ્રીટમેન્ટ કેમ નહીં કરો?'
'મારી ફી કોણ આપશે, સિસ્ટર? જરા સમજો ને' આવું કહીને ડો. ત્રિવેદી ખડખડાટ કરતા હસી પડયા. ઓ.પી.ડી.માં હાજર નર્સ અને પટાવાળો પણ ખખડી પડયાં.
ડો. ત્રિવેદીને સારું લાગવા માંડયું. હાસ્ય એ સચોટ ઔષધ છે.
ભલે એ રોગને સાવ નિમૂર્ળ ન કરી શકે, પણ તેમાં રાહત તો અવશ્ય આપી શકે છે.
ડો. ત્રિવેદી ખુશમિજાજ માણસ હતા. જિંદગીને હળવાશથી લેતા આવ્યા હતા. આ તો અચાનક 'હાઈપર ટેન્શન'ના ગંભીર ચકરાવામાં ફસાઈ ગયા.
સુરેન્દ્રનગરના લગભગ તમામ ડોક્ટરો એમને ઓળખતા હતા. એક ફિઝિશિયન મિત્રે એમને તપાસ્યા. જરૂરી ટેસ્ટ્સ કરાવ્યાં. પછી દવાઓ લખી આપી. મિત્ર હતા માટે એકવચનમાં કહ્યું : 'ત્રિવેદી, તું તો જાણે છે કે હાઈપરટેન્શન અને ડાયાબિટીસ આ બંને બીમારીઓ માણસની જિંદગીમાં સૌથી વફાદાર બીમારીઓ છે. માનવીના છેલ્લા શ્વાસ સુધી એ સાથ નિભાવે છે. માટે આ બે રોગોની સારવાર ક્યારેય બંધ કરવામાં નથી આવતી. તું પણ આ ટેબ્લેટ્સ લેવાનું ચાલુ રાખજે. તું ખુદ ડોક્ટર છે, એટલે તને મારે વધુ કંઈ કહેવાનું હોય નહીં.'
ડો. ત્રિવેદીએ સારવાર ચાલુ કરી દીધી. બે દિવસમાં જ એમનું બ્લડપ્રેશર કાબૂમાં આવી ગયું. ઉપરનું એકસો ચોવીસ અને નીચેનું છયાસી મિ.મિ. રહેવા માંડયું.
દવાઓ સતત લેવાની હતી. જીવનભર લેવાની હતી. ડો. ત્રિવેદી લેતા રહ્યા. પાંચ વર્ષ પસાર થઈ ગયાં. બધું બરાબર ચાલતું હતું, ત્યાં અચાનક ડો. ત્રિવેદીને શું સૂઝ્યું તે એમણે ટેબ્લેટ્સ લેવાનું બંધ કરી દીધું. કોઈ પણ ક્વોલિફાઇડ ડોક્ટર ક્યારેય આવી ભૂલ કરે જ નહીં, પણ ડો. ત્રિવેદી કરી બેઠા. એના મૂળમાં પેલો આનંદી સ્વભાવ. જિંદગીને હળવાશથી લેવાની આદત. એમણે કદાચ આવું વિચાર્યું હશે : 'પાંચ વર્ષથી મારું બ્લડપ્રેશર માપતો આવું છું ક્યારેય વધ્યું નથી. પરિસ્થિતિ સાવ જ કાબૂ હેઠળ છે. લાવ ને, દવાઓ બંધ કરી દઉં જોઉં તો ખરો કે શું થાય છે જો બી.પી. આટલું ને આટલું જ રહે તો દવાઓ લેવામાંથી છુટકારો પણ મળી જાય.'
દવાઓ બંધ થયા પછી થોડાક દિવસો સુધી તો બધું સરસ રીતે ચાલ્યું, પછી અચાનક એમનું બ્લડપ્રેશર વધી ગયું. એમને ખબર પણ ન પડી. એમનું કામ કરતા હતા ત્યારે જેટ વિમાન 'ટેક ઓફફ' કરે એવી સ્પીડે એમને બી.પી. શૂટ અપ થયું. મગજની રક્તવાહિની ફાડી નાખી. ડો. ત્રિવેદી બેભાન બનીને ઢળી પડયા. હાહાકાર મચી ગયો. એમનો પુત્ર માધવ ડોક્ટર બની ગયો હતો. તેને જાણ કરવામાં આવી. ડો. માધવે આવીને પિતાનું બી.પી. તપાસ્યું. બસો ચાલીસ બાય એકસો સિત્તેર મિ.મિ. જેટલું હતું. એ સમજી ગયો કે આનાથી વધુ ગંભીર સ્થિતિ બીજી કોઈ હોઈ ન શકે. કંઈક તાકીદની ઝડપે કરવું પડશે.
ફિઝિશિયને બનતી બધી જ સપોર્ટિવ સારવાર શરૂ કરી દીધી. એ દરમિયાન ડો. માધવે એમ્બ્યુલન્સ બોલાવી લીધી. અમદાવાદની એક જાણીતી ર્કોપોરેટ હોસ્પિટલમાં ફોન કરી દીધો. સુરેન્દ્રનગરથી મૃતપ્રાય અવસ્થામાં ડો. ત્રિવેદીને લઈને સૌ અમદાવાદ પહોંચ્યા, ત્યારે ન્યૂરોસજ્ર્યન એમની ટીમ સાથે હાજર હતા. એમણે દરદી પર જરૂરી પરીક્ષણો પતાવ્યાં. એમ.આર.આઇ. કર્યું. નિદાન સાચું હતું. ડો. ત્રિવેદીના મગજની નસ ફાટી ગઈ હતી. લોહી જામીને ગઠ્ઠો થઈ ગયું હતું. એનું દબાણ મગજના કોષો ઉપર થઈ રહ્યું હતું.
ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. લગભગ લાશ જેવા બની ગયેલા દરદીને ઓપરેશન માટે એનેસ્થેટાઇઝ કરવામાં આવ્યા. એમની ખોપરીમાં 'ડ્રીલ' વડે કાણું પાડવામાં આવ્યું. પછી જે ભાગમાં લોહી બાઝી ગયું હતું ત્યાં પાંત્રીસ સો રૂપિયાનું મોંઘું ઇન્જેક્શન રેડીને બાઝેલા ગઠ્ઠાને પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. પછી સક્શન મશીનની મદદથી એ લોહીને ખેંચી કાઢવામાં આવ્યું. બીજાં જરૂરી 'સ્ટેપ્સ' પછી ઓપરેશન પૂરું થઈ ગયું.
બીજા દિવસથી જ ડો. ત્રિવેદીની હાલતમાં સુધારો નોંધાવા લાગ્યો. એમણે આંખો ખોલી, એમના શ્વાસની ગતિ 'ર્નોમલ' થઈ ગઈ, બ્લડપ્રેશરની દવાઓને કારણે લોહીનું દબાણ ફરી પાછું કાબૂમાં આવી ગયું. રિકવરી બહુ ઝડપથી થવા માંડી.
ડો. ત્રિવેદી સાવ સાજા-સારા થઈને પાછા ઘરે ગયા. આજે આ વાતને પણ પાંચ-છ વર્ષ થઈ ગયાં છે. ડો. ત્રિવેદી નોકરીમાંથી નિવૃત્ત થઈને હવે ખાનગી જનરલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. દર્દીઓની ભીડ જામે છે. દિવસનો મોટો ભાગ એમાં જ ખર્ચાઈ જાય છે, પણ એમની હવે કોઈ જ ફરિયાદ નથી.
આટલું સારું થઈ જવાનું કારણ ડો. ત્રિવેદીના મતે આવું છે. 'મેં ગરીબ દર્દીઓને નોકરી દરમિયાન જે રીતે પ્રેમપૂર્વક સારવાર આપી હતી એનો જ આ બદલો મને મળ્યો છે. નહીંતર બ્રેઇન હેમરેજ થયા પછી ન્યૂરોસજ્ર્યનની સુવિધાથી માઈલો દૂર કોઈ બચી શકે ખરું?'
ડો. ત્રિવેદી બચી ગયા તે બદલ આપણાં તરફથી લાખ લાખ અભિનંદન પણ આ આખી ઘટનામાંથી જો
વાચકોને મારે એક જ મેસેજ આપવાનો હોય તો તે આ છે :
'બ્લડપ્રેશર અને ડાયાબિટીસની સારવાર ક્યારેય બંધ કરી દેવી નહીં. નહીંતર તમે પોતે જ 'બંધ' થઈ જશો.
(ર્શીષક પંક્તિ: શૂન્ય પાલનપુરી)
drsharadthaker@yahoo.com
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment