SANKLAN

SANKLAN
SANKLAN

Tuesday, 29 July 2014

અજાણ્યા માટે અઢળક છોડી દેવાની ઉદારતા

આપણે હંમેશાં આપણા ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જશ આપીએ છીએ, પણ પરમ ભૌતિક અને સ્વકેન્દ્રી ગણાતા દેશોમાં પણ ગિવિંગ ક્લ્ચર ધબકી રહ્યું છે, વિકસી રહ્યું છે તે હકીકત આજના હિંસા અને ત્રાસવાદગ્રસ્ત જગતની એક જુદી જ તાસીરનો પરિચય કરાવે છે

નિજ-નગરિયા - તરુ કજારિયા

એક સમાચાર વાંચ્યા! દાન અને ડિવોર્સને કંઇ સંબંધ હોઇ શકે? હા, આ સમાચાર વાંચો તો સમજાઈ જશે. લંડનના એક હાઇ પ્રોફાઇલ ઇન્વેસ્ટર ક્રિસ્ટોફર હોહ્ન અને તેની પત્ની કૂપરનો ડિવોર્સ કેસ લંડનની કોર્ટમાં ચાલે છે. પોતાની ટેલેન્ટ અને આવડતથી અબજો ડોલર્સની સંપત્તિ સર્જનારા ક્રિસ્ટોફરની સંપત્તિમાંથી તેમની પત્ની કૂપરે પચાસ ટકા હિસ્સો માગ્યો છે જ્યારે ક્રિસ્ટોફર પચીસ ટકા દેવા તૈયાર છે.

આ ડિવોર્સ ઉપર દુનિયાની નજર ખાસ તો એટલે ખેંચાઈ છે કે ક્રિસ્ટોફર એક મોટા દાનવીર પણ છે. તેમનું ‘ચિલ્ડ્રન્સ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ ફાઉન્ડેશન’ આફ્રિકા તેમ જ ભારતનાં બાળકો માટે ઘણાં અનુદાનો આપે છે. એટલે જ એક્ટિવિસ્ટ ઇન્વેસ્ટર તરીકે ઓળખાતા ક્રિસ્ટોફરના દાંપત્યજીવનના વિખવાદની અસર તેમની ઉદાત દાન-પ્રવૃત્તિ ઉપર તો નહીં થાય ને! આવી ભીતિ જાગે છે. સમજાયું ને કઈ રીતે ડિવોર્સ દાન ઉપર પ્રભાવ પાડી શકે!

બીજા એક સમાચાર ઘર-આંગણેના છે. તેમાં પણ સંપત્તિનો જ વિવાદ છે. દેશના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી વિભૂષિત શાસ્ત્રીય સંગીતના મહાન કલાકાર સ્વ. ભીમસેન જોષી અંગેના એ સમાચાર છે. જોકે તેમની બેનમૂન ગાયકીની ચિરંજીવ સ્મૃતિ આ સમાચારોનું નિમિત્ત નથી, પરંતુ તેમની કરોડો રૂપિયાની સ્થાવર-જંગમ સંપત્તિ અને તેમના કલાવારસાના કૉપીરાઇટ્સ અંગે તેમના વારસદારો વચ્ચે જામેલા અદાલતીજંગને કારણે તેમનું નામ અખબારો અને મીડિયામાં ગાજી રહ્યું છે. ભીમસેન જોષીને બે પત્નીઓ હતી. તેમનાં પ્રથમ લગ્ન ૧૯૪૪માં સુનંદા કટ્ટી સાથે થયેલાં. તેમનાં ચાર સંતાનો છે. બીજા લગ્ન ૧૯૫૧માં વત્સલા મુધોલકર સાથે થયેલા જેનાથી તેમને ત્રણ સંતાનો છે.

જોષીજીએ સુનંદાને ડિવોર્સ આપ્યા વગર જ વત્સલા સાથે લગ્ન કર્યા હતા. એટલું જ નહીં, પણ બીજા લગ્ન પછી શરૂઆતનો થોડો સમય સુનંદા, વત્સલા અને બાળકો બધાં જોશીજી સાથે જ રહ્યાં હતાં! પછી તેમનાં સુનંદા અલગ રહેવાં ગયેલાં. ભીમસેન જોષીનું ૨૦૧૧માં મૃત્યુ થયું. તે પહેલાં તેમણે ૨૦૦૮માં કરેલા વિલ મુજબ પોતે પૂનામાં રહેતા હતા એ બંગલો તથા બે ફ્લૅટ્સમાંનો પોતાનો હિસ્સો તેમ જ તેમને મળવાપાત્ર બધી જ રોયલ્ટીની રકમ વત્સલાના સંતાનોને ફાળવવામાં આવી હતી. પરંતુ તેમના અને સુનંદાના મોટા પુત્ર રાઘવેન્દ્રે પોતાના ત્રણ ભાઇ-બહેન વતી એ વિલને પુણે સિવિલ કોર્ટમાં પડકાર્યું હતું અને પિતાના વારસામાં સમાન હક્ક માગ્યો હતો.

પુણે સિવિલ કોર્ટે ૨૦૧૩માં આ સંદર્ભે ભીમસેન જોષી અને વત્સલાના સંતાનોને જોષીજીના બંગલા કે ફ્લૅટ્સમાં કોઇ થર્ડ પાર્ટી રાઇટ્સ ઊભા કરવા સબબ પાબંદી ફરમાવી હતી. હવે એ ઓર્ડરને વત્સલાના સંતાનોએ હાઇકોર્ટમાં પડકાર્યો છે!

આ સમાચાર જોઇને થયું કે પોતાના મધુર સંગીતથી દેશ અને દુનિયામાં એક અજોડ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રતિભાને કલ્પ્ના હશે કે એક દિવસ માધ્યમોમાં આવા ક્ટુ કારણોસર પોતે ચમકતા હશે! એવો સવાલ ભીમસેન જોષીને થયો હશે કે નહીં એ ખબર નથી પણ પોતાના વારસો પોતાના સંતાનોનું કંઇ બહુ ભલું નહીં કરે એવી ખાતરી આ દુનિયાના કેટલાક અબજોપતિઓને હશે એવું ચોક્ક્સ લાગે છે.

આ અઠવાડિયે એક અંગ્રેજી અખબારમાંં ટેક્નોલોજીના ક્ષેત્રના કેટલાક ટોચના અબજોપતિઓ વિશે એક ન્યુઝફીચર પ્રગટ થયું હતું. તેમાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સનું આ વાક્ય સ્પર્શી ગયું: ‘હું ચોક્ક્સપણે માનું છું કે બાળકો માટે અઢળક નાણાંનો વારસો મૂકી જઈને આપણે કંઇ તેમનું ભલું નથી કરતા.’ અને આ બિલભાઈ માત્ર બોલતા નથી, કરી પણ બતાવે છે. પોતાની સંપત્તિમાંથી ચેરિટીના કાર્યો કરવા તેમણે ૧૯૯૪માં ‘બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ સ્થાપ્યું છે જેની પાસે અત્યારે છત્રીસ અબજ ડૉલર્સની સંપત્તિ છે. દુનિયાભરમાં આ ફાઉન્ડેશન ગરીબી નિવારણ, શિક્ષણપ્રસાર અને હેલ્થકેર માટે મોટું કામ કરે છે. ભારતમાં પણ તેમના ફાઉન્ડેશનની મદદથી કેટલાક પ્રોજેક્ટ્સ ચાલે છે.

ભારતીય વિદ્યા ભવનમાં નજીવી ફીઝ લઈને અપાતી કમ્પ્યુટર ટ્રેનિંગ એ ફાઉન્ડેશનની જ દેન છે. એ ક્મ્પ્યુટર ક્લાસીસમાં શીખીને સારા પગારની નોકરી મેળવતા સાધારણ સ્થિતિના અનેક યુવાનોની જિંદગીને બદલાતાં જોઇ છે.

આઠ ઉદારદિલ અબજોપતિની એ યાદીમાં બિલ ગેટ્સ ઉપરાંત ગુગલ, ઇન્ટેલ, એ.ઓ.એલ., ઈ.બે. ઇત્યાદિ કંપનીના સી.ઈ.ઓ.નો સમાવેશ છે. એ સૌએ પોતાની સંપત્તિમાંથી મેજર હિસ્સો ચેરિટીમાં આપી દેવાની પોતાના વિલમાં જોગવાઈ કરી છે.

બીજા શબ્દોમાં કહું તો તેમણે પોતાની મહેનત અને પ્રતિભાથી ઊભા કરેલા વ્યાપારી સામ્રાજ્યના નફારૂપી ફળમાંથી તેમનાં સંતાનોને ભાગે નાનો એવો હિસ્સો જ આવશે, બાકી બધો ચેરિટીમાં જશે. આ જાંબાઝોની ઉંમર કંઈ વધુ નથી. વળી મોસ્ટલી પતિ-પત્ની બન્નેયે આ ઉદારતા દાખવી છે. ઈ.બે.નો અમેરિકન ઇરાનિયન સ્થાપક પિયરે ઓમિદ્યાર અને તેની પત્ની કહે છે કે અમે તો છેક ૨૦૦૧માં જાહેરમાં કહ્યું હતું કે અમારી હયાતીમાં જ અમારી સંપત્તિનો મોટો ભાગ આપી દેવાનો અમારો ઇરાદો છે. તેઓ કહે છે કે અમારો અભિગમ બહુ સરળ છે:અમારા પરિવારની જરૂરિયાત કરતાં અમારી પાસે ઘણું બધું છે. જ્યારે એ નાણાંનો વર્તમાનમાં બીજો ઉપયોગ થઈ શકે તેમ હોય ત્યારે તેને ગળે બાંધીને બેસવાનો કોઇ અર્થ નથી. અને તેમના આ શબ્દો બોદા નથી એની પ્રતીતિ તેઓ ઑલરેડી કરાવી ચૂક્યા છે.

આ દંપતી ૧૯૯૮માં તેમની કંપની ઈ.બે. પબ્લિક લિમિટેડ કંપની બની ત્યાર બાદ ૨૦૦૧થી દર વરસે ત્રીસ લાખથી એક કરોડ ડૉલર્સ સુધીની રકમની ચેરિટી કરે છે.

૨૦૦૯માં તેમણે ટફ્ટ યુનિવર્સિટીને એક અબજ ડોલર્સનું અનુદાન આપ્યું હતું. આજ સુધીના યુનિવર્સિટીના ઈતિહાસમાં એ સૌથી મોટું વ્યક્તિગત અનુદાન છે.

ઓમિદ્યાર નેટવર્ક નામની એક ખાસ ફિલૅન્થ્રોપિક ઈન્વેસ્ટમેન્ટ ફર્મ તેમણે સ્થાપી છે જેને તેમણે ઈ.બે.ના શેર્સ દાનમાં આપ્યા છે.

આજના મટીરિયાલિસ્ટિક જગતમાં અમેરિકા જેવા મોસ્ટ મટીરિયાલિસ્ટિક દેશના ટેકનોલોજીના બેતાજ બાદશાહ જેવા આ યંગ અબજોપતિ આન્ત્રપ્રિન્યોર્સની આ ‘ગિવિંગ એટિટ્યુડ’ વિશે જાણીને સુખદ આશ્ર્ચર્ય થાય એ સહજ છે.

સૌથી વધુ આશ્ર્ચર્ય તો ‘અમારાં સંતાનો માટે પૂરતું છે’ એ અહેસાસનું છે! પોતાનું સુખ, પોતાની સંપત્તિ કે સત્તા ક્યારેય કોઇને ‘પૂરતાં’ લાગે છે!

જોગાનુજોગ ઉપર જેના વિશે લખ્યું છે તે ભીમસેન જોશીના વારસા વિશેના તેમનાં સંતાનો વચ્ચે જાગેલા વિખવાદના સમાચાર બીજે જ દિવસે વાંચવા મળેલા. એટલે મનોમન સહજ બે સ્થિતિ જક્સ્ટાપોઝ(સામસામે મુકાવી) થઈ ગઈ! એક તરફ પોતાના વારસદારો માટેની કાળજી છે તો બીજામાં અનેકોને પોતાના વારસદાર બનાવવાની કાળજી. પોતે સર્જેલું પોતાના માટે છોડી જનારા ઘણા હોય છે પણ પરાયા કે તદ્દન અજાણ્યા માટે અઢળક છોડી દેનારા જૂજ હોય. 

આપણા દેશમાં પણ આવા અનેક સખાવતીઓ થયા છે અને થાય છે. એ માટે તો આપણે હંમેશા આપણા ભારતીય કલ્ચર અને મૂલ્યોને જશ આપીએ છીએ. પણ પરમ ભૌતિક અને સ્વકેન્દ્રી ગણાતા દેશોમાં પણ એ ગિવિંગ ક્લ્ચર ધબકી રહ્યું છે, વિકસી રહ્યું છે તે હકીકત આજના હિંસા અને ત્રાસવાદગ્રસ્ત જગતની એક જૂદી જ તાસીરનો પરિચય નથી કરાવતી?

No comments:

Post a Comment