SANKLAN

SANKLAN
SANKLAN

Monday, 28 July 2014

જિંદગીની થેલીમાં અફસોસ


મનની મોસમ : અનિલ ચાવડા
જે પળમાં તમે જીવતા હશો તે પળનું મૂલ્ય કદાચ તમને ક્યારેય નહીં સમજાય. એ સમયે તમને બધું જ નોર્મલ લાગશે, પણ આ નોર્મલપણું કેટલું બધું એબનોર્મલ હતું તે અમુક સમય પછી કે અમુક વર્ષો પછી જ સમજાશે. ઝાડ પરનું લીલું પાંદડું વહેતા પવનની સંગત કરી ડાળને છોડી દે છે, ત્યારે તે ઘટના તેને સાવ નોર્મલ લાગે છે, પછી ટૂંક જ સમયમાં તે પોતાની લીલાશ ગુમાવવા માંડે છે, ત્યારે તેને પોતાના એબનોર્મલપણાનું ભાન થાય છે. ડાળ પર હોય ત્યારે પાંદડાને ઝાડનું મૂલ્ય નથી સમજાતું, ઝાડથી દૂર ગયા પછી જ તેને સમજાય છે. ઝાડથી કાયમ માટે છૂટી ગયા પછી તેની પાસે કશું જ નથી હોતું, સિવાય કે અફસોસ! તમારા જીવનમાં પણ ઘણી વાર આવું બન્યું હશે. શક્ય છે કે અમુક ઘટનાની ડાળ પરથી પાંદડાની જેમ છૂટી ગયા પછી તમારી પાસે પણ અફસોસ સિવાય કશું જ ન બચ્યું હોય!
આપણે બધા સમયના એક વિશાળ ઝાડ પર ચોંટેલાં પાંદડાંઓ છીએ. જીવનના અંતે જ્યારે આપણને ખબર પડે કે હવે ખરવાની પળ નજીક આવી ગઈ છે,ત્યારે જિંદગીના છૂટી ગયેલા તમામ વસવસાઓ અધૂરપો, અફસોસ અને ધ્રાસકાઓનાં વસ્ત્રો પહેરી સડસડાટ આંખ સામેથી પસાર થવા લાગે છે. ક્યાંક બાળપણમાં છૂટી ગયેલાં વતનનો અફસોસ હોય છે, તો ક્યાંક યુવાનીમાં તૂટી ગયેલા પ્રેમનો, ક્યાંક વ્યવસાયમાં ખાધેલી થાપની પીડા, તો ક્યાંક વળી પરિવારમાંથી જ મળેલા ઘાવનું દરદ. છૂટી ગયેલા તમામ વસવસાઓ જ્યારે સાંભરે છે ત્યારે થાય છે કે એ વખતે એ છોકરીને પૂછી લીધું હોત તો સારું હતું,એ વખતે મેં નોકરીનું ફોર્મ ભરી દીધું હોત તો સારું હતું, એ વખતે ઘર લઈ લીધું હોત તો સારું હતું, એ વખતે પપ્પાનું કીધું માન્યો હોત તો સારું હતું, એ વખતે સરખું ભણ્યો હોત તો સારું હતું, એ વખતે નોકરી ન છોડી હોત તો સારું હતું, એ વખતે બિઝનેસમાં સાહસ કરી નાખ્યું હોત તો સારું હતું. પણ આ 'એ વખત' એટલે કયો વખત એ કોઈને સમજાતું નથી. ગઝલનો એક શેર છે-
'આમ કરતાં આમ કર્યું હોત તો એ બધું વીત્યાં પછી સમજાય છે.
ઘણું બધું વીત્યાં પછી જ સમજાતું હોય છે. પરણ્યા વિના સંસારનું જ્ઞાાન લાધતું નથી. માત્ર આંખ બંધ કરી દેવાથી અંધાપાના દુઃખની સાચી અનુભૂતિ ન થઈ શકે. કોઈને લોહી નીકળતું જોઈ ધ્રૂજી જવું અને સ્વયં લોહીલોહાણ હોવું એમાં જમીન આસમાનનો ફેર હોય છે. સૌ પોતપોતાના વસવસાના વહાણમાં બેસીને જિંદગીનો પ્રવાસ કરે છે. બધાં જ પોતપોતાનાં અફસોસનાં છોગાં પહેરીને ફરતાં હોય છે. જે સમયે તમે જે દુઃખમાં હોવ છો, તે સમયે તે દુઃખ સૌથી વધારે પીડાકારક લાગતું હોય છે. આંગળીને નખ નીકળી જાય તેની પીડા થતાં તમે એમ કહેવા લાગો છો કે આના કરતાં તો આંગળી કપાઈ ગઈ હોત તો સારું હતું, પણ ખરેખર જ્યારે આંગળી કપાવાની નોબત આવે ત્યારે વળી પાછું એમ થાય કે આના કરતાં તો ખાલી નખ ઊખડી ગયો હોત તો સારું હતું!
એક વાર્તા કહું. કદાચ તમે વાંચી પણ હોય. એક માણસ દરિયાકિનારે માછલીઓ પકડતો હતો. સવારથી સાંજ સુધી પ્રયત્નો કર્યા, પણ કશું હાથમાં ન આવ્યું,પણ તે સતત મથતો રહ્યો. રાત પડી, પણ તે હિંમત હાર્યો નહીં. જાળ નાખતો રહ્યો. અચાનક તેની જાળમાં કશુંક આવ્યું. એને લાગ્યું કે કોઈ માછલી લાગે છે, જોયું તો એક મોટી થેલી હતી, જેમાં માત્ર પથ્થરો ભર્યા હતા. તે સાવ હતાશ થઈ ગયો. ત્યાં જ બેસી ગયો. રાત વધી ગઈ હતી. થાકી પણ ગયો હતો,પણ થાય શું? નવરા પડયા તેણે પેલી થેલીમાંથી એક-એક પથ્થર કાઢી દરિયામાં ફેંકવાનું શરૂ કર્યું. આખી રાતમાં ધીમે ધીમે બધા જ પથ્થરો ફેંકી દીધા. સવાર પડવા આવી હતી. છેલ્લો પથ્થર હાથમાં હતો, તેણે દરિયામાં ફેંક્યો એ જ વખતે સૂર્ય ઊગ્યો અને ફેંકાયેલો પથ્થર ચમક્યો. અચાનક માછીમારને જાણ થઈ કે આખી રાત તેણે જે પથ્થરો ફેંક્યા હતા એ તો સાચા હીરા હતા. ત્યારે તેના અફસોસનો પાર ન રહ્યો. પછી જિંદગીભર તેને આ વાતનો અફસોસ રહ્યો કે એક આખી થેલી ભરીને સાચા હીરા તેણે પથ્થર સમજીને દરિયામાં ફેંકી દીધા. 
દરેકના જીવનમાં આવા થેલી ભરીને સારા પ્રસંગો આવતા હોય છે, પણ આપણે આપણી અંધારી રાતમાં તેને પથ્થર સમજીને ફેંક્યા કરીએ છીએ અને છેક સવારે ખબર પડે છે કે આપણે જે ફેંક્યા હતા એ સાચા હીરા હતા, ત્યારે આપણી જિંદગીની થેલીમાં અફસોસ સિવાય કશું હોતું નથી. આવા અનેક વસવસાઓ મનમાં ઉજ્જડ મોસમની જેમ રઝળ્યા કરતા હોય છે. અત્યારે પણ તમારી જિંદગીની થેલીમાં આવા ઘણા બધા સાચા હીરા હશે. અંધારી રાતમાં તેને પથ્થર સમજીને ફેંકી દેતા પહેલાં ખાલી એક વાર તેની તરફ સરખી નજર કરજો.              

No comments:

Post a Comment