- ડૉ. સુબોધ નાણાવટી
પાંચ નિર્દોષ જણાતાં કારણો તમારા જીવન માટે જોખમ રૂપ છે.
જીવન છે તો મૃત્યુ પણ છે. એને ટાળી ન શકાય. પરંતુ અકાળે મોત તો કોઈને ન ગમે. અને એને અવશ્ય ટાળી શકાય છે. “ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકોનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD)ના જણાવ્યા પ્રમાણે ૨૦૧૨માં અમેરિકામાં સરેરાશ આયુષ્ય ૭૮.૭ વર્ષનું હતું. એનાથી પહેલાં મૃત્યુ થાય તેને અકાળ કે વહેલું મૃત્યુ ગણી શકાય. કેટલાંય એવાં મહત્ત્વનાં કારણો છે, જેમાંથી લાંબી માંદગી થઈ જાય છે અને અકાળે મૃત્યુ થતું હોય છે. તમાકુ, દારૂનું સેવન વધુપડતું મીઠું ખાવું અને હાઈ બ્લડ પ્રેશર અકાળ મૃત્યુનાં કારણ મનાય છે. તમાકુ કે દારૂની નુકસાનજનક અસર થાય, એ તો સમજી શકાય છે પરંતુ કેટલાંયે કારણો એવાં છે કે જે નિર્દોષ જણાય પણ એને કારણેય જલદી રામ રમી જતા હોય છે.
૧. બહુ ઘણો વખત ટીવી જોવું
આખા દિવસના કામ પછી ઘર આવીને પલંગ પર પડ્યે પડ્યે ટીવી ન જોવાની સલાહ આપવી તો સહેલી છે, પણ એનો અમલ કરવાનું સહેલું નથી. આમ છતાં, આવું પ્રમાદી વર્તન જીવન માટે ખતરારૂપ બની જાય છે. નવાર્રાની યુનિવર્સિટીના જાહેર આરોગ્ય વિભાગે એક અભ્યાસ હાથ ધર્યો, તેમાં કૉલેજનું ભણતર પૂરું કરી ચૂકેલા ૧૩,૨૮૪ યુવાનોની જીવનશૈલી પર ૮ વર્ષ અને ૨ મહિના સુધી નજર રાખવામાં આવી. (ક્લિક કરોઃstudy).
સંશોધકો જોવા માગતા હતા કે પ્રમાદી જીવનના ત્રણ દૃષ્ટાંતોને અકાળ મૃત્યુ સાથે સંબંધ છે કે નહીં. એમણે
(૧) લાંબા વખત સુધી ટીવી સામે બેસી રહેવાની ટેવ
(૨) કારની અંદર કેટલો સમય પસાર થાય છે, અને
(૩) ઇંટરનેટ પર વિતાવેલો સમય
– એ ત્રણ બાબતો લીધી. (ક્લિક કરોઃ examples).
અભ્યાસને અંતે જણાયું કે અભ્યાસ હેઠળની ૯૭ વ્યક્તિનાં મૃત્યુ થઈ ગયાં હતાં; ૧૯ જણ હૃદયને લગતી કોઈ તકલીફને કારણે, ૪૬ કૅન્સરમાં અને બીજા ૩૨ બીજી કોઈ બીમારીમાં મૃત્યુ પામ્યા હતા. જે લોકો એક કલાક કે તેનાથી ઓછો સમયટીવી જોતા હતા, તેમની સરખામણીએ ત્રણ કલાક કે તેથી વધારે સમય માટે ટીવી જોનારા સામે અકાળ મૃત્યુનું જોખમ વધારે હતું. બીજી બાજુ, ઇંટરનેટ પર કે કારમાં વધારે સમય ગાળવાથી અકાળ મૃત્યુનું જોખમ વધતું હોય એમ ન જણાયું.
૨. એકલતા
માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો, એકલતાના કેટલાક દેખીતા ગેરલાભ તો છે જ. પરંતુ શું એની કંઈ શારીરિક અસરો પણ છે? ‘અમેરિકન એસોસિએશન ફોર ઍડવાન્સમેન્ટ ઑફ સાયન્સ’ની વાર્ષિક બેઠકમાં રજુ થયેલા એક સંશોધન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે અત્યંત એકલતાનાં જુદાં જુદાં પાસાંને કારણે અકાળ મૃત્યુની શક્યતા વધી જતી હોય છે. એકલવાયા વૃદ્ધો સ્ટ્રેસમાંથી ઊગરી જાય કે વળી જીવન પ્રત્યે આશાવાદી નજરે જોતા થાય એવી શક્યતાઓ ઓછી હોય છે. એકલતાને કારણે બ્લડ પ્રેશર ઊંચું રહે છે, ડિપ્રેશનના હૉર્મોન, કોર્ટીસોલની માત્રા વધી જાય છે અને ઊંઘ બહુ અનિયમિત થઈ જાય છે. સંશોધન ટીમને જોવા મળ્યું કે વૃદ્ધો એકલવાયાપણું અનુભવતા હોય તો અકાળ મૃત્યુ થવાનું જોખમ ૧૪ ટકા વધી જાય છે. (ક્લિક કરોઃResearch).
૩. જલદી નિવૃત્તિ
બહુ ઘણું કામ કરવાથી ‘વર્કૅહૉલિક સ્ટ્રેસ’ (કામના બંધાણીને થતો સ્ટ્રેસ)અને ચિંતાના ઉછાળાની સ્થિતિ આવે છે, તો બીજી બાજુ, માણસ તદ્દન નવરો હોય તો એને ડિપ્રેશન અને હૃદયરોગો થાય છે, પરિણામે,અકાળ મૃત્યુ થતું હોય છે. એવું લાગે કે, જલદી નિવૃત્તિ આરામની તક જેવી છે, બસ, જિંદગીની મઝા લો. પરંતુ, એને કારણે તમારી આવરદા ટૂંકાતી હોય એવું પણ બની શકે.
ઑસ્ટ્રેલિયામાં ઝ્યૂરિખ યુનિવર્સિટીના સંશોધકો અભ્યાસ કરીને જણાવે છે કે બેઠાડુ નોકરી કરનારા સામે અકાળ મૃત્યુનો ભય વધારે હોય છે.જેમણે વહેલી નિવૃત્તિ લીધી હોય એવા લોકો સમય પહેલાં જ, ૬૭ વર્ષની ઉંમરે મૃત્યુ પામતા હોય છે. ખરું પૂછો તો, વહેલી નિવૃત્તિનું દરેક વધારાનું વર્ષ એટલે અકાળ મૃત્યુના જોખમમાં ૧૩.૪ ટકાનો વધારો. (ક્લિક કરોઃ Researchers)
૪. પ્રદૂષિત હવાનો કુપ્રભાવ
દુનિયાના કેટલાક ભાગોમાં, ઘરની અંદર કે બહાર, હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે આની ખરાબ અસર બાબતમાં લોકો સાવચેત રહેવાનું પણ ભૂલી ગયા છે. હવાનું પ્રદૂષણ આજે દુનિયામાં સૌથી મોટું પર્યાવરણી જોખમ છે. આપણા આરોગ્ય પર એ સતત લટકતી તલવાર છે. લાંબો વખત પ્રદૂષિત હવા શ્વાસમાં લેવાતી રહે તો સ્ટ્રોક, ઇસ્કૅમિક હાર્ટ ડિસીઝ (હૃદયને લોહી ઓછું મળે), શ્વસનતંત્રમાં ગંભીર પ્રકારનો ચેપ અને Chronic Obstructive Pulmonary Disease (COPD) એટલે કે ફેફસાંની નળીઓમાં કાયમી અવરોધ જેવી બીમારીઓ થાય છે. તે ઉપરાંત અમુક જાતનાં કૅન્સર થવાનો પણ ભય રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ૨૦૧૨માં આખી દુનિયામાં સિત્તેર લાખ મરણોની નોંધ લીધી અને તે પછી રિપોર્ટ આપ્યો કે દર આઠ માંથી એક મરણ માટે ઘરની અંદર કે બહારનું હવાનું પ્રદૂષણ જવાબદાર હતું.
WHOના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટનાં ડાયરેક્ટર ડૉ. મારિયા નીઇરા કહે છે કે “આપણે પહેલાં માનતાં કે સમજતાં હતાં તેના કરતાં પણ હવાના પ્રદૂષણનાં જોખમો હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક માટે વધારે છે. હવાનું પ્રદૂષણ આજે આરોગ્ય સામેનાં જોખમોમાં સૌથી વધારે ગંભીર છે. એટલે આપણા શ્વાસમાં જતી હવા શુદ્ધ થાય તેવાં પગલાં લેવાની બહુ જરૂર છે”.
૫. દાંત સાફ ન કરવા
તમને એમ લાગતું હોય કે અકાળ મૃત્યુ અને મોઢાના સ્વાસ્થ્ય (oral hygiene) વચ્ચે કંઈ સંબંધ નથી, તો સ્વીડનના આ સંશોધકો શું કહે છે તે જાણવું તમારા માટે જરૂરી છે. એમણે અભ્યાસ કરીને નિષ્કર્ષ આપ્યો છે કે દાંત પર છારીનું સખત પડ બની ગયું હોય તો એમાંથી કેન્સર થાય છે અને એ અકાળ મૃત્યુનું કારણ બની શકે છે. આ અભ્યાસ ૧૯૮૫થી ૨૦૦૯ સુધી ચાલ્યો અને એમાં ૧,૩૯૦ વ્યક્તિઓનું નિરીક્ષણ કરાયું. સંશોધકોએ આ લોકોની જીવન શૈલી અને દાંતની સ્થિતિ વિશે અભ્યાસની શરૂઆતમાં નોંધ લીધી. ૨૪ વર્ષ અધ્યયન ચાલ્યા પછી એમણે નોંધ્યું કે ૫૮ વ્યક્તિનાં મૃત્યુ થઈ ગયાં, એમાંથી ૩૫ને કૅન્સર ભરખી ગયું હતું. જે લોકો બચી ગયા તેમની સરખામણીએ એ લોકોના દાંતની હાલત બહુ ખરાબ હતી. દાંત પર છારીનું પડ બાઝેલું હતું. કદાચ આ છારીમાં બનતાં બૅક્ટેરિયા ચેપ ફેલાવતાં હોય, જે આગળ જતાં કૅન્સર બની જાય એવું એમણે તારણ કાઢ્યું છે.
૦-૦-૦
ડૉ. સુબોધ નાણાવટીનાં સંપર્કસૂત્રઃ
· વેબ પેજઃ www.happysapiensdental.com
· ઇ-પત્રવ્યવહારનાં સરનામાં:
No comments:
Post a Comment