SANKLAN

SANKLAN
SANKLAN

Thursday, 11 September 2014

બીજાઓની ખામીમાં રસ લેવો એ આપણી ખામી છે --- સન્ડે મોર્નિં ગ - સૌરભ શાહ

‘જેને કોઈ અપનાવી ન શકે એ આદર્શ નથી અને
જેને સૌ કોઈ અપનાવી શકે એ પણ આદર્શ નથી.’

આવું જબરજસ્ત મૌલિક વિધાન કરનારા સંત અમિતાભના વિચારો માત્ર જૈન ધર્મની ફિલસૂફીનું વિશ્ર્લેષણ કરવા પૂરતા સીમિત નથી. એમના વિચારો કોઈ એક વિચારધારામાં બંધાયેલા નથી. એ કહે છે: ‘અંતિમ સત્ય બોલતું નથી હોતું. કોઈ પણ માણસ એવું કંઈ રીતે કહી શકે કે હું અંતિમ સત્ય જાણું છું. માણસ બહુ બહુ તો એટલું કહી શકે કે: અત્યાર સુધી હું જેટલું સત્ય સમજી શકયો છું એ હું રજુ કરું છું.’

આટલું કહીને આ સંત નાનકડા ગદ્યખંડો દ્વારા જીવન તથા અધ્યાત્મ વિષયક ખૂબ મોટી મોટી વાતો કરે છે. ‘અધ્યાત્મ નવનીત’ પુસ્તકમાં તેઓ કહે છે કે કોઈપણ પરિસ્થિતિ ન તો અનુકૂળ હોય છે, ન પ્રતિકૂળ. પરિસ્થિતિઓ માત્ર પરિસ્થિતિ જ હોય છે. અશાંત મન કોઈક સંજોગોને અનુકૂળ માની લે છે તો કોઈકને પ્રતિકૂળ. શાંત મન કોઈપણ પરિસ્થિતિને અનુકૂળ કે પ્રતિકૂળ ગણતું નથી. પરિસ્થિતિના પ્રભાવમાં તણાઈ ન જઈએ તો જ જીવનની સંપૂર્ણતાનો અનુભવ થાય.

જીવનમાં આપણે કોઈનાથી નાના નથી કે કોઈનાથી મોટા પણ નથી એવું સંત અમિતાભ કહે છે. આનો અર્થ સમજીએ. ઘણા લોકો પોતાનાથી વધુ શ્રીમંત, વધુ વગદાર કે વધુ પ્રસિદ્ધ વ્યક્તિ આગળ પોતાને ખૂબ નીચા મહેસૂસ કરે છે. તેઓ લઘુતાગ્રંથિ અનુભવતા થઈ જાય છે. આને કારણે એક બાજુ એમનામાં કૃત્રિમ વિવેક જન્મે છે જે વેવલાઈમાં પરિણમે છે. અને બીજી બાજુ ભય પ્રગટે છે જે અસલામતીમાં પરિણમે છે. માણસ જેવું વિચારે છે એવું અનુભવે છે. પોતાની જાત વિશે જેને આદર નથી એના વર્તનમાં ક્યારેય કોઈનેય માન આપવા જેવું લક્ષણ નહીં દેખાય.

કોઈનાથી મોટા હોવાનું ગુમાન રાખવું પણ નકામું. આવું ગુમાન ઘણા પ્રકારનું હોઈ શકે. એને ત્યાં ૪૨ ઈંચનું ટીવી લીધું, માટે ત્યાં તો ઑલરેડી ૬૫ ઈંચનું છેથી માંડીને એણે અધ્યાત્મ વિશે કંઈ જાણ્યું જ નથી, હું તો સાધકની કક્ષાએ પહોંચી ગયો છું - સુધીની મોટાઈઓ હોઈ શકે. જિંદગીમાં ખૂબ મોટા થયા પછી પણ યાદ રહેવું જોઈએ કે તમારાથી મોટું પણ કોઈક છે.

સંત અમિતાભનાં વાક્યોનું અર્થઘટન આપણે આપણા સંદર્ભમાં કરી શકીએ છીએ: ‘જે પોતાનું છે તે ક્યારેય ખોવાતું નથી - મેળવાતું નથી, જે ખોવાઈ જાય કે જડી જાય એવું હોય તે આપણું નથી હોતું. જે આપણું છે તે આપણી પાસે જ હતું, આપણી પાસે જ છે અને આપણી પાસે જ રહેશે. એને ખોવું કેવી રીતે અને મેળવવું શી રીતે?’

વ્યક્તિઓ અને ભૌતિક પદાર્થોથી માંડીને અલૌકિક એવી અનુભૂતિઓ સુધીની વાતોના સંદર્ભમાં ઉપરોકત વિધાનને જોઈ શકીએ. ડર અને અસલામતી વિશેનું સંત અમિતાભનું ચિંતન જિદ્દુુ કૃષ્ણમૂર્તિના વિચારોની સમાંતરે ચાલે છે. સંત કહે છે: ‘કોઈ કોઈનું અહિત કરી શકતું નથી. જે થવાનું છે તે થઈને જ રહે છે. પછી કોઈનાથી ડરવાનું શું કામ કે કોઈને ડરાવવા પણ શા માટે?’ ભયને કારણે સર્જાતી મનોદશા વિશે તમામ ફિલસૂફો અને વિચારકોએ કહેલી વાતો ભેગી કરીને એક સ્વતંત્ર ગ્રંથનું સંકલન કોઈકે કરવું જોઈએ. આજના યુગમાં જીવતા માણસ માટે એ પુસ્તક ફૅમિલી સાયકીએટ્રિસ્ટ કે કાઉન્સેલર જેવા પ્રિય દોસ્તની ગરજ સારે.

અનેકવાર તમે અનુભવ્યું હશે કે મન ખૂબ બધા વિચારોમાં ખોવાઈ જાય છે. સંત અમિતાભ કહે છે કે વિચારોની ભીડમાં જેવી ગૂંગળામણ થાય છે એવી ગૂંગળામણ લોકોની ભીડમાં નથી થતી. લોકોની ભીડથી બચવા તો ક્યાંય એકાંત પણ મળી જશે, વિચારોની ગિરદીથી બચવા ક્યાં જઈશું? મન શાંત ર્ક્યા વિના આ ભીડથી નહીં બચાય. એના માટે સંત બનવું પડે. અને આ સંત બનવું એટલે સંસાર છોડીને સંન્યાસી થઈ જવું એવું નહીં. આસપાસ જે કંઈ બને છે અને સહજતાથી સ્વીકારી લેનાર સંત છે. સંત પ્રાકૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય - શાંત. જેના રાગ અને દ્વેષ શાંત હોય એ સંત છે. જેના લાખો-કરોડો અનુયાયી હોય એ મહાન સંત નથી, મહાન સંત એ છે જે પૂર્ણરૂપે શાંત છે, પછી ભલે એનો એક પણ અનુયાયી ન હોય. સંત અમિતાભ ભારપૂર્વક કહે છે કે કોટિ કોટિ જનતાને પ્રભાવિત કરવાવાળા પ્રવચનકાર સંત નથી હોતા. અને જેઓ પ્રવચન નથી કરતા તેઓ અસંત નથી હોતા. શાંત મન સંત અને અશાંત મન અસંત હોય છે. સંત એ નથી જે સંપ્રદાયમાં રહે છે, સંત એ છે જે પોતાનામાં રહે છે.

સંત અમિતાભની અનેક વાતો તમને સ્પર્શી જાય એવી છે. ઍય્ન રૅન્ડ નામનાં વિખ્યાત અમેરિકન વિદુષીને અડધા-પોણા સૈકા પહેલાં ‘વર્ચ્યુ ઑફ સેલ્ફિશનેસ’નો વિચાર આવ્યો. સ્વાર્થી બનવું એ એક સદ્ગુણ છે. ક્યા પ્રકારના સ્વાર્થની વાત છે એ પણ સમજવું જરૂરી છે. સંત અમિતાભ કહે છે કે સ્વ-કેન્દ્રિત બનવું એ જ જીવનનું લક્ષ્ય હોઈ શકે. કોણ કેવું છે એ વિશે વિચાર્યા કરવું પર-કેન્દ્રિતા છે. બીજાઓ પર ધ્યાન આપવું એ સ્વ-કેન્દ્રિતતા છે. સ્વ-કેન્દ્રિતને ન કોઈ સારું લાગે છે, ન કોઈ ખરાબ. બીજી એક સાદી પણ અત્યંત જરૂરી એવી વાત સંત અમિતાભ એ કહે છે કે બીજાઓની ખામીમાં રસ લેવો નહીં. બીજાઓની ખામીમાં રસ લેવો એ આપણી ખામી છે. બીજાઓની ખામી વિશે સાંભળવામાં કે સાંભળીને એ વાતને પ્રસરાવવામાં પણ રસ ન લેવો.

અને સંતની છેલ્લી વાત: જે માણસ દુનિયાને બદલવાની નહીં પણ પોતાને બદલવાની ફિકર કરે છે એ જીવનને વફાદાર છે. દુનિયાને બદલવી સંભવ નથી. સંભવ છે જાતને બદલવી.

No comments:

Post a Comment