SANKLAN

SANKLAN
SANKLAN

Wednesday, 13 August 2014

યે જીના કોઇ જીના હૈ! (કેલિડોસ્કોપ)--- કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ

વૃ ક્ષની ડાળી ઉપરથી પાન ખરે એમ જિંદગીના દિવસો એક પછી એક ખરતા જાય છે. આપણે ક્યારેક આનંદથી વિભોર હોઈએ છીએ તો ક્યારેક દુઃખી હોઈએ છીએ, પણ ક્યારેક તો જાણે કશું જ હોતા નથી. ધમણ હવા લે છે છતાં એનામાં જીવન હોતું નથી એમ આપણે પણ શ્વાસ લેતા હોઈએ છીએ, પરંતુ જાણે કે આપણામાં જીવન જ હોતું નથી. એક ખાલી, પોકળ અવકાશમાં માત્ર શ્વાસ લેતા હોઈએ છીએ. સ્ટુઅર્ટ ચેઇઝ આવી અવસ્થાનો વિચાર કરીને એક પાયાનો પ્રશ્ન પૂછે છે, 'ખરેખર તમે જીવંત છો કે માત્ર શ્વાસના આધારે આ ધરતી પર ટકી રહ્યા છો?'
એક એવી રેખા છે, કદાચ અસ્પષ્ટ કે જેની ઉપર આપણે હોઈએ છીએ ત્યારે આપણે જીવંત હોઈએ એમ આપણને લાગે છે. એ રેખાની નીચે ડૂબેલા હોઈએ ત્યારે માત્ર શ્વાસના ટેકે આ નાશવંત શરીરને ટકાવી રાખતા હોઈએ એમ લાગે છે. ક્યારેક આપણે 'જીવીએ છીએ', ક્યારેક આપણે માત્ર 'હોઈએ છીએ'.
સ્ટુઅર્ટ ચેઇઝે કેટલીક અવસ્થાઓ બતાવી છે, જ્યારે માણસને પોતે 'જીવે છે' એવો અનુભવ થાય છે અને એવી બીજી કેટલીક અવસ્થાઓ બતાવી છે, જ્યારે એ માત્ર 'હોય છે.'
તમે 'જીવો છો' કે માત્ર 'છો'? એ અહીં આપેલા જમા અને ઉધાર પાસાંને જોઈને તમે નક્કી કરી શકો છો.
જ્યારે તમે કશું સર્જનાત્મક કામ કરો છો ત્યારે તમે તમારી જિંદગી જીવો છો. જ્યારે તમે લખો છો, ચિત્રકામ કરો છો, મકાન બનાવો છો અને એ કામને'તમે ચાહો છો' ત્યારે તમે જીવંત હો છો.
જ્યારે તમે પર્વત સામે ઊભા રહો છો અથવા પર્વત ઉપર ચડવાનો પ્રયત્ન કરો છો, સમુદ્ર સામે નજર કરો છો અને તારાઓ તમારા હૃદયના ધબકારા સાથે મળી જાય છે, કુદરત સાથે તમે ઓતપ્રોત થઈ જાઓ છો ત્યારે તમે જિંદગીને તમારામાં દોડતી અનુભવો છો.
જ્યારે તમે એકચિત્ત થઈને વાંચો છો, સંગીત સાંભળો છો, નૃત્ય જુઓ છો, કોઈ સુંદર મકાન કે પુલ જુઓ છો ત્યારે તમે તમારી જિંદગી સાથે એકરૂપ બની જાઓ છો.
પ્રેમ એ જીવ છે. જ્યારે તમે નિઃસ્વાર્થ પ્રેમ કરો છો ત્યારે તમે જિંદગી સાથે એકરૂપ બની જાઓ છો.
જ્યારે તમે નિઃસ્વાર્થ પ્રેમ કરો છો અને એ જ રીતે નિખાલસ પ્રેમ પામો છો ત્યારે તમે જીવનને પામી શકો છો.
જ્યારે તમે તન્મય થઈને વાત કરો છો અથવા કોઈ નવા કે જૂના વિચારની ચર્ચા કરો છો ત્યારે તમે જિંદગીની નજીક જવા પ્રયત્ન કરો છો.
જ્યારે તમને દુઃખનો ખટકો લાગે છે ત્યારે તમારા લોહીમાં જિંદગી ધબકવા લાગે છે. વેદના એ પણ જિંદગીનું એક રૂપ છે.
જ્યારે તમે ચાલવા નીકળો છો અને ચાલવામાં આનંદ અનુભવો છો ત્યારે તમે જીવંત હોવાનો અનુભવ કરો છો.
જ્યારે તમે બરફ ઉપર લસરો છો, પાણીમાં તરો છો, કારને દોડાવો છો અને એમાં આનંદનો અનુભવ કરો છો ત્યારે પણ ઘણી વાર જિંદગીનો આનંદ તમે લૂંટો છો.
જ્યારે તમને કકડીને ભૂખ લાગે છે અને પછી ખાવાનું શરૂ કરો છો અને તરસ લાગ્યા પછી તમારા હોઠને પાણીનો સ્પર્શ થાય છે ત્યારે તમે જિંદગીનો સ્વાદ માણી શકો છો.
દિવસ આખાના કામ પછી જ્યારે તમે ઊંઘમાં પડો છો ત્યારે તમે જિંદગીના ઝરામાં
ડૂબકી મારો છો. જે ઊંઘ તમને તાજગી આપે છે, એ ઊંઘ તમને જીવન આપે છે.
જ્યારે તમે દિલ ખોલીને હસો છો ત્યારે તમારા અણુએઅણુમાં જિંદગી હસી ઊઠે છે અને બીજી કેટલીક એવી અવસ્થાઓ છે જ્યારે તમે આ પૃથ્વી પર માત્ર ટકી રહો છો, પણ જીવંત હોવાનો અનુભવ કરી શકતા નથી.
જ્યારે તમે કામના બદલે ઢસરડો કરો છો ત્યારે તમે મૃત થઈ જાઓ છો. તમે ઓફિસમાં કારકુન હો અને જેની સાથે તમારે કશી જ નિસબત ન હોય એવા સરવાળા-બાદબાકી તમારે કરવાના હોય અથવા તો નિરર્થક વેઠ કરવાની હોય, દાઢી કરવાની હોય, કપડાં બદલવાનાં હોય, કશુંક સાવ એવું જે માત્ર તમારે કર્યા વિના ચાલે તેમ ન હોય માટે કરવાનું હોય અને એમાં તમને કોઈ રસ ન હોય, ત્યારે તમે મૃત થતા જાઓ છો.
ભૂખ વિના જમવાનું, તરસ વિના પીવાનું, આદતના જોરે ઊંઘવાનું માણસના પ્રાણને હરી લે છે.
કોઈ સામાજિક કાર્યક્રમમાં કશી ઊલટ વિના માત્ર ઔપચારિક હાજરી આપવાની હોય, મનથી નકામા લાગતા માણસો સાથે બેસવાનું હોય, નિરર્થક લાગતું ભાષણ આપવાનું હોય અને એવું જ સાંભળવાનું હોય ત્યારે તમે જીવનથી દૂર ખસતા જાઓ છો.
એકની એક વસ્તુઓ, ચહેરાઓ, શહેરો, દીવાલો, શેરીઓ માણસની સંવેદનાને બુઠ્ઠી કરી નાખે છે અને સંવેદના વિનાનું માણસનું જીવન એ જીવન નથી.
જ્યારે કોઈ ક્રોધ કરે, ઈર્ષા કરે, લોભ કરે ત્યારે એ અંધારી, નિષ્પ્રાણ ઊંડી ખાઈમાં પ્રવેશ કરે છે અને જીવન સાથેનો એનો સંપર્ક તૂટતો જાય છે.
આ બધી પરિસ્થિતિઓ માનવીના જીવનમાં આવે છે અને જાય છે. કોઈ વ્યક્તિ સતત એક જ સ્થિતિમાં રહી શકતી નથી. સંસારી મનુષ્ય હજારો પરિસ્થિતિઓથી ઘેરાયેલો રહે છે, પણ એણે સપાટીથી ઉપર તરતા રહેવાનો બને એટલો પ્રયત્ન કરવો જોઈએ. સ્ટુઅર્ટ ચેઇઝે બતાવેલી અવસ્થાઓ જેવી જ બીજી જીવંત અને મૃત અવસ્થાઓનો તમે અનુભવ કરી શકો અને તમારી પોતાની રીતે એનો ક્યાસ પણ કાઢી શકો છો. દિવસના અંતે, સપ્તાહના અંતે, મહિનાના અંતે, ક્યારેક એકલા બેસીને આપણે આપણા વીતેલા સમય પર અને વીતતા જતા સમય ઉપર નજર ફેરવી લેવી જોઈએ. આપણે એક જીવંત વ્યક્તિની જેમ જીવન વ્યતીત કરીએ છીએ કે નહીં એનો અંદાજ મેળવી લેવો જોઈએ. જો જિંદગીથી દૂર હડસેલાઈ રહ્યા હોઈએ, ડૂબતા જતા હોઈએ તો તરતા રહેવાની, જીવંત પરિસ્થિતિઓમાં પાછા ફરવાની કોશિશ કરવી જોઈએ. જે જીવનના અમૃત ઝરામાંથી અવારનવાર પાન કરે છે એ એની છેલ્લી પળ સુધી જીવનને જીવી શકે છે.

No comments:

Post a Comment